18 July, 2022 05:44 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રામદાસ કદમ
મહારાષ્ટ્રના રાજકારણમાં ચાલતી ધમાસાણ વચ્ચે ફરી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. જેના પરથી લાગે છે કે શિવસેનાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. નેતાઓના ભંગાણનો દોર હજી યથાવત છે. તાજેતરની માહિતી પ્રમાણે હવે વિપક્ષના પૂર્વ નેતા અને મંત્રી રામદાસ કદમ(Ramdas kadam)એ પાર્ટમાંથી રાજીનામું આપી દીધું છે. આ પહેલા તેમના પુત્ર અને ધારાસભ્ય યોગેશ કદમ પણ શિંદે જુથમાં સામેલ થયા હતા.
રત્નાગિરીમાં ખેડ વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય રામ કદમ શિવસેનાના એ બળવાખોર નેતાઓમાં સામેલ છે, જે શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંદેના પક્ષમાં છે. રામદાસ કદમની ગત મહિને પરિવહન મંત્રી અનિલ પરબ સાથે બોલાચાલી થઈ હતી અને બાદમાં તેમણે શિવસેનાથી મોઢું ફેરવી લીધુ હોવાનું જાણવા મળ્યુ હતું. તો બીજી બાજુ એવી અટકળો પણ વહેતી થઈ હતી કે પરબ સાથેના વિવાદ બાદ કદમ પણ શિવસેના છોડી દેશે. પરંતુ સાંસદ અને પ્રવક્તા સંજય રાઉત સાથેની મુલાકાત બાદ તેમને મનાવી લેવામાં આવ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસો પહેલા રામદાસ કદમે કહ્યું હતું કે `હું આખરી શ્વાસ સુધી શિવસેના સાથે રહીશ. હું શિવસેના અને ઉદ્ધવ ઠાકરેનું સમર્થન કરતો રહીશ. એ વાત ખરી છે કે મારા પુત્ર યોગેશ કદમને મતદારોની માંગો અને આશાઓની કારણે પાર્ટી નેતૃત્વ સામે કેટલીક સમસ્યા છે, પરંતુ હું શિવસેના છોડીશ નહીં.`
શિવસેનાની કાર્યકારી સમિતિએ 16 બળવાખોર નેતાઓને કારણ બતાવો નોટિસ જાહેર કરી 48 કલાકમાં જવાબ માંગ્યો છે. તો બીજી બાજુ બળવાખોર નેતા એકનાથ શિંદે અને રામદાન કદમ આ નેતાઓની યાદીમાં સામેલ નથી.