08 April, 2021 10:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે એમએનએસની દાદરના કોહિનૂર ટાવર પાસેની રાયગડ નામની ઑફિસ આગળ એકઠા થયેલા વેપારીઓ
મિની લૉકડાઉન જાહેર કરતાં પહેલાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ ઠાકરેને ફોન કરીને તેમને વિગતો જણાવી હોવાથી ગઈ કાલે દાદર, માટુંગા અને પ્રભાદેવીના વેપારીઓ મિની લૉકડાઉનમાં દુકાનો ઉઘાડવાની તેમના વતી સરકારને રજૂઆત કરે એ માટે રાજ ઠાકરેને મળવા પહોંચી ગયા હતા. રાજ ઠાકરેએ તેમને આશ્વાસન આપતાં કહ્યું હતું કે અમે ચોક્કસ કોઈ ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશું અને એમ છતાં જો કોઈ હલ નહીં આવે તો પછી આપણે આપણી મનસે સ્ટાઇલમાં દુકાનો ખોલી નાખીશું, ડોન્ટ વરી અમે તમારી સાથે જ છીએ.
વેપારીઓની આ રજૂઆત બદલ માહિતી આપતાં વેપારી તિલક વોરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દાદર, માટુંગા અને પ્રભાદેવીના વેપારીઓ અંદાજે ૪૦૦થી ૫૦૦ સંખ્યામાં ગઈ કાલે એમએનએસની દાદરના કોહિનૂર ટાવર પાસેની રાયગડ નામની ઑફિસે પહોંચી ગયા હતા. મોટી સંખ્યામાં વેપારીઓ ભેગા થયા હોવા છતાં કોઈ હલ્લો-ગુલ્લો નહોતો અને બધા શાંત હતા. હા, વેપારીઓએ હાથમાં પ્લૅકાર્ડ્સ પકડી રાખ્યાં હતાં. પહેલાં એવું નક્કી થયું હતું કે રાજ ઠાકરે વેપારીઓના પ્રતિનિધિમંડળને મળશે, પણ બહુ ભારે સંખ્યામાં વેપારીઓ આવી જતાં તેમના ટ્રેડ અસોસિએશનના પ્રમુખ યશવંત કિલ્લેદારે વેપારીઓની વાત કૉન્ફરન્સ કૉલથી કરાવી હતી. તેમણે આશ્વાસન આપ્યું હતું કે વેપારીઓને પડી રહેલી મુસીબતની રજૂઆત કરીને ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશું. એમ છતાં જો કોઈ ઉકેલ નહીં આવે તો હું તમારી સાથે છું. આપણે આપણી રીતે આગળ વધીશું. તમે દુકાનો ખોલજો. મનસે તમારી સાથે છે.’