રાજ ઠાકરેએ આપી મુખ્ય પ્રધાનને સલાહ: આર્થિક સ્થિતિ સુધારવા લીકર શૉપ ખોલો

24 April, 2020 09:12 AM IST  |  Mumbai | Mumbai Correspondent

રાજ ઠાકરેએ આપી મુખ્ય પ્રધાનને સલાહ: આર્થિક સ્થિતિ સુધારવા લીકર શૉપ ખોલો

રાજ ઠાકરે

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના ચીફ રાજ ઠાકરેએ ચીફ મિનિસ્ટર ઑફિસને એક પત્ર લખીને રાજ્યની મહેસૂલી આવક વધારવા દારૂની દુકાનો ખોલવાનો અનુરોધ કર્યો છે.
રાજ ઠાકરેએ તેમના પત્રમાં કહ્યું છે કે હાલમાં લૉકડાઉનને કારણે ધંધા-ધાપા બંધ થઈ ગયા છે ત્યારે રાજ્યની મહેસૂલી આવકમાં પણ જબરદસ્ત ઘટાડો નોંધાયો છે અને રાજ્યની તીજોરીનું તળિયું દેખાઈ રહ્યું છે ત્યારે હવે આવક વધારવા રાજ્ય સરકારે પગલાં લેવા જ પડશે અને એથી જો દારૂની દુકાનો ખોલવામાં આવે તો એનાથી રાજ્ય સરકારને સારી એવી આવક થઈ શકે એમ છે. દારૂની દુકાન ખોલવા એમ નથી કહી રહ્યો કે દારૂ પીનારાઓનો વિચાર કરો. આ મુદ્દો રાજ્યની આવક વધારવાનો છે. આજે પેટ્રોલ પંપ બંધ છે. જમીન અને સ્થાવર માલમતાના વ્યવહારો બંધ છે, જ્યારે દારૂ પરની એકસાઇઝ ડ્યુટીને કારણે રાજ્ય સરકારને રોજના ૪૧.૬૬ કરોડ, મહિનાના 1250 કરોડ અને વર્ષે દહાડે 15,000 કરોડની આવક થાય છે. ૩૫ દિવસથી લૉકડાઉન ચાલુ છે. હજી આગળ કેટલું લંબાશે એ ખબર નથી એથી મહેસૂલમાં રોજનું નુકસાન થઈ રહ્યું છે. હાલમાં રાજ્ય સરકાર પાસે એના ખર્ચાને પહોંચી વળવા આવક નથી. કર્મચારીઓના પગાર આપવા પૈસા નથી ત્યારે વાઇન શૉપમાંથી થનારી મહેસૂલી આવક એ બહુ મોટી છે અને રાજ્ય સરકારને એની જરૂર પણ છે.
નૈતિકતાનાં બણગાં ફૂંકવાની કોઈ જરૂર નથી. લૉકડાઉન પહેલાં પણ રાજ્યમાં દારૂબંધી નહોતી. અફકોર્સ, દારૂ ખરીદવા આવતા લોકોને એ ખરીદતી વખતે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરે એ ધ્યાન રાખવું જરૂરી છે.

હોટેલ અને રેસ્ટોરાં પણ ધીમે-ધીમે ખોલી શકાય
રાજ ઠાકરેએ વધુમાં કહ્યું છે કે મહાનગરોમાં હોટેલમાં કે વીશી લૉજમાં જમવું એ હવે કોઈ મોજમજા નથી રહી, એ હવે લોકોની જરૂરિયાતનો ભાગ છે. અનેક લોકો રોજ એમાં જમતા હોય છે. બહુ જ માફક દરે એમાં રાઇસ પ્લેટ મળતી હોય છે. અનેક લોકોના ઘરમાં કોઈ રસોઈ બનાવવાવાળું નથી હોતું. સરકારે એ બાબતનો પણ વિચાર કરવો જોઈએ. જો પાર્સલ સર્વિસ ચાલુ કરાય તો એ હોટેલને પણ આવક થાય અને લોકોને પણ ભોજન મળી રહે. પાર્સલ દેતી વખતે સોશ્યલ ડિસ્ટન્સિંગ જળવાય એ બાબતનો ખ્યાલ રાખવો જરૂરી છે. 

mumbai raj thackeray uddhav thackeray mumbai news maharashtra