02 May, 2026 12:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
મુંબઈના પાયધુની વિસ્તારમાં ડોકડિયા પરિવારના ચારેય સભ્યોનાં તરબૂચ ખાધા પછી શંકાસ્પદ મૃત્યુ થયાં હતાં. હવે આ કેસમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે.
પ્રારંભિક ફૉરેન્સિક પરીક્ષણોમાં જાણવા મળ્યું છે કે તેમનાં મહત્ત્વપૂર્ણ અંગો લીલાં થઈ ગયાં હતાં. એવું જાણવા મળ્યું છે કે મગજ, હૃદય અને આંતરડાં લીલાં થઈ ગયાં હતાં. નિષ્ણાતોના મતે આ સ્થિતિ સામાન્ય ફૂડ-પૉઇઝનિંગથી અલગ છે. તેથી ડૉક્ટરો દ્વારા ઝેરની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે એક જ સમયે ઘણા અવયવોમાં આવા ફેરફારો જોવા મળે છે ત્યારે એક ઝેરી તત્ત્વ આખા શરીરમાં ફેલાયું હોય છે. એવું પણ જાણવા મળ્યું છે કે અબદુલ્લાના શરીરમાં મૉર્ફિન પણ મળી આવ્યું હતું જે અસહ્ય પીડામાં રાહત આપતી દવા તરીકે વપરાય છે. આ દવાનો જરાસરખો ઓવરડોઝ પણ ઘાતક નીવડી શકે છે.
દરમ્યાન, ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)એ સ્વતંત્ર તપાસ શરૂ કરી છે. અધિકારીઓએ પરિવારના ઘરમાંથી ૧૧ નમૂનાઓ જપ્ત કર્યા છે અને એમને પરીક્ષણ માટે પ્રયોગશાળામાં મોકલી આપ્યા છે. આમાં બિરયાની, તરબૂચ, રસોડામાં અને ફ્રિજમાં પાણી, કાચા અને રાંધેલા ભાત, કાચું અને રાંધેલું ચિકન, ખજૂર અને મસાલાનો સમાવેશ થાય છે. ફૂડ-ઇન્સ્પેક્ટરોને પોલીસ સાથે કો-ઑર્ડિનેટ કરવાની સૂચના આપવામાં આવી છે.
પોલીસે પરિવારના મોબાઇલ ફોન પણ જપ્ત કર્યા છે અને તપાસ કરી રહ્યા છે કે શું કોઈ શંકાસ્પદ સંપર્કો હતા. પરિવારના વડા અબદુલ્લા ડોકડિયાના વ્યાવસાયિક વ્યવહારો અને બૅન્ક-વ્યવહારોની પણ તપાસ ચાલી રહી છે.