15 May, 2020 04:39 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent
વડાપ્રધાન મોદીને આપી સલાહ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘર અને ધર્મસ્થળોમાંથી સોનું કઢાવવાની સલાહ આપીને મહારાષ્ટ્રના પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચૌહાણ અને કૉંગ્રેસ નેતા ફસાતા હોય તેવું દેખાય છે. તેમના પર એક વિશેષ ધર્મ પર હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. જો કે, ચૌહાણનું કહેવું છે કે તેમની વાત અયોગ્ય રીતે રજૂ કરનારા વિરુદ્ધ કાર્યવાહી કરશે.
હકીકતે, પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે પીએમ મોદીએ 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પુનરુદ્ધાર પેકેજની જાહેરાત કરી છે, પણ સવાલ એ છે કે સરકાર આ સંસાધનો કેવી રીતે એકઠાં કરશે? મેં સલાહ આપી કે સરકાર વિભિન્ન વ્યક્તિઓ અને ધાર્મિક ટ્રસ્ચ પાસે રહેલ નકામું સોનું જમા કરાવવા કહે. ચૌહાણના આ નિવેદન પછી હિન્દૂ પરિષદે કહ્યું કે વક્ફ બૉડ અને ચર્ચ પાસે અઢળક ધન છે, છતાં કૉંગ્રેસની નજર મંદિરો પર જ શું કામ છે?
પૃથ્વીરાજ ચૌહાણનું કહેવું છે કે અસામાજિક તત્વો પીએમ મોદીને આપેલી સલાહના મૂળ ભાવને સંદર્ભ કરતા બહાર કરી દીધું અને પ્રૉજેક્ટ કરી દીધું કે મેં એક વિશેષ ધર્મને લક્ષ્યમાં રાખ્યું હતું, એવા લોકો વિરુદ્ધ હું યોગ્ય કાયદાકીય પ્રાધિકારીઓ સાથે કાર્યવાહી કરવા જઈ રહ્યો છું. મારી સલાહ કોઈ નવી વાત નથી. જ્યારે પણ કોઇ રાષ્ટ્રીય આર્થિક સંકટ હોય છે, ત્યારે વડાપ્રધાને સોનાના સંગ્રહની વાત કરી છે. તેમણે કહ્યું કે ગોલ્ડ ડિપઝિટ સ્કીમ તો બાજપેયી સરકારે શરૂ કરી હતી અને 2015માં મોદી સરકારે ગોલ્ડ મોનિટાઇઝેશન સ્કીમ લાવી હતી.
પૃથ્વીરાજ ચૌહાણના બધાં ધાર્મિક ટ્રસ્ટોમાં રાખેલા સોનાના ભંડારનો ઉપયોગ કરવાની સલાહ પર ભાજપના પૂર્વ લોકસભા સાંસદ કિરીટ સોમૈયાએ પૃથ્વીરાજને પ્રશ્ન કર્યો છે કે શું સોનિયા ગાંધીએ તેમને આ માગ કરવાનું કહ્યું છે? કિરીટ સોમૈયાએ એ પણ પૂછ્યું કે શું કૉંગ્રેસ પાર્ટી ચૌહાણની વાતનું સમર્થન કરે છે? આ સિવાય પૃથ્વીરાજ ચૌહાણના આ નિવેદન પછીથી ભાજપના કેટલાય નેતાઓ અને હિન્દૂ પૂજારીઓએ તેમના આ પ્રસ્તાવને અપમાનજનક દર્શાવ્યો છે. મહારાષ્ટ્ર ભાજપના સંયુક્ત સંયોજક તુષાર ભોસલેએ ચૌહાણ પ્રસ્તાવની નિંદા કરી છે. તેમણે કહ્યું કે જો કૉંગ્રેસ દેશની નાણાંકીય સ્થિતિ અંગે ચિંતાગ્રસ્ત છે, તો તેણે સૌથી પહેલા કૉંગ્રેસના નેતાઓ દ્વારા પોતાના શાસન દરમિયાન ગોટાળા દ્વારા એકઠું કરેલું ધન બહાર કાઢવું જોઈએ.