09 September, 2026 07:52 AM IST | Mumbai | Madhulika Ram Kavattur
ફ્લાયઓવર નીચે ‘વાકોલાચા રાજા’ની ગણેશમૂર્તિ લઈને રાહ જોતા ઊભા રહેલા શ્રી મહાકાલી મિત્ર મંડળના સભ્યો. તસવીરો : સતેજ શિંદે
જિયો વર્લ્ડ ડ્રાઇવ ખાતે યોજાયેલા ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026માં હાજરી આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાંજે પાંચ વાગ્યે મુંબઈ ઍરપોર્ટ પર ઊતર્યા એને કારણે શહેરમાં ઠેર-ઠેર ટ્રાફિક ડાઇવર્ટ કરવાની જરૂર પડી હતી અને અનેક ઠેકાણે ટ્રાફિક થોભાવી દેવામાં આવ્યો હતો. જોકે વડા પ્રધાનનો કાફલો પસાર થાય એ માટે રોકવામાં આવેલા ટ્રાફિકને કારણે સામાન્ય મુંબઈગરાઓએ રાહ જોવી પડી એ રીતે ગણપતિબાપ્પાએ પણ રાહ જોવી પડી હતી.
મુંબઈ ઍરપોર્ટની આસપાસના વિસ્તારોમાં અમુક રસ્તા ડાઇવર્ટ કરવામાં આવ્યા હતા અને અમુક સ્થળે ટ્રાફિક રોકી દેવાયો હતો. એમાં વિલે પાર્લેમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેના ફ્લાયઓવર પાસે ‘વાકોલાચા રાજા’ ગણેશમૂર્તિને લઈ જતા શ્રી મહાકાલી મિત્ર મંડળને પણ રાહ જોવાની ફરજ પડી હતી. આ મંડળના અધ્યક્ષ સુમન કુમારે જણાવ્યું હતું કે ‘ટ્રાફિક-પોલીસના અધિકારીઓએ અમને જણાવ્યું હતું કે અહીંથી વડા પ્રધાનનો કાફલો પસાર થવાનો હોવાથી એ પસાર ન થાય ત્યાં સુધી અમારે ટ્રાફિક-મૅનેજમેન્ટ માટે અહીં જ રાહ જોવી પડશે. અમારે લગભગ ૪૫ મિનિટ સુધી અમારી ગણેશ-પ્રતિમા સાથે ઊભા રહેવું પડ્યું હતું.’
મુંબઈ ઍરપોર્ટ વિસ્તાર ઉપરાંત ચકાલા, સાંતાક્રુઝ, વિલે પાર્લે એમ અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી. એને કારણે ખાસ કરીને ઑફિસથી છૂટીને ઘરે પાછા જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને ઘણા સમય સુધી ટ્રાફિકમાં અટવાયેલા રહેવું પડ્યું હતું.
- સતેજ શિંદે, મધુલિકા રામ કવત્તુર