આજથી પ્લાઝમા થેરપીની ટ્રાયલનો આરંભ

29 June, 2020 03:24 PM IST  |  Mumbai | Arita Sarkar

આજથી પ્લાઝમા થેરપીની ટ્રાયલનો આરંભ

લંડનમાં તાજેતરમાં શરૂ થયેલા પ્લાઝમા ડોનર સેન્ટરમાં કોરોનાની સારવાર માટે ઓબરે ધનરાજ નામના પ્લાઝમા ડોનરનું બ્લડ-સૅમ્પલ લેવામાં આવ્યું હતું (પ્રતીકાત્મક તસવીર: એએફપી)

કોરોના વાઇરસનું ઇન્ફેક્શન મટાડવા માટે પ્લાઝમા થેરપી ઉપયોગી હોવાની ચર્ચા વચ્ચે રાજ્ય સરકાર એ થેરપીની ટ્રાયલની આજે શરૂઆત કરશે. રાજ્ય સરકારના ભંડોળથી હાથ ધરવામાં આવતી આ ટ્રાયલનું ઉદ્ઘાટન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના હસ્તે કરવામાં આવશે. એ માટેના પ્રોજેક્ટ પ્લાટિનાને આવશ્યક તમામ પ્રકારની મંજૂરીઓ મળી જતાં પ્લાઝમા થેરપીની આજથી શરૂ થનારી ટ્રાયલમાં ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજિસની ૧૭ બ્લડ-બૅન્ક્સ સહભાગી થશે. એ બ્લડ-બૅન્ક્સ કોરોના-ઇન્ફેક્શનમાંથી સાજા થયેલા દરદીઓનાં બ્લડ-સૅમ્પલ્સ ભેગાં કરશે અને એનો ઉપયોગ કોવિડ-19નાં તીવ્ર લક્ષણો ધરાવતા દરદીઓ પર કરવામાં આવશે.

ડિરેક્ટરેટ ઑફ મેડિકલ એજ્યુકેશન ઍન્ડ રિસર્ચના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘આ સૌથી વ્યાપક ટ્રાયલ્સમાં મુંબઈની ચાર સહિતની ૨૧ મેડિકલ કૉલેજોના સેંકડો દરદીઓ સામેલ થશે. આ ટ્રાયલ્સ ત્રણેક મહિનામાં પૂરી થશે. ઇન્ડિયન કાઉન્સિલ ફૉર મેડિકલ રિસર્ચની ટ્રાયલ્સ કોરોના-ઇન્ફેક્શનનાં હળવાં લક્ષણો ધરાવતા દરદીઓ માટે છે. અમારી ટ્રાયલ્સ તીવ્ર લક્ષણો ધરાવતા દરદીઓ માટે છે. એમાં કોઈ ફાર્માસ્યુટિકલ કંપની સંકળાયેલી નથી. બ્લડ-બૅન્ક્સમાં પ્લાઝમા એકઠો કરવાની કાર્યવાહી હંમેશાં ચાલતી રહેશે. ટ્રાયલ્સનાં પરિણામો સારાં મળશે તો એ થેરપીની સારવાર સૌને માટે ખુલ્લી મૂકવામાં આવશે. નાગપુરની ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજના અધિકારીઓના નેતૃત્વમાં હાથ ધરવામાં આવનારી ટ્રાયલ્સમાં મુંબઈની નાયર, કેઈએમ, કૂપર અને સાયન હૉસ્પિટલ પણ સામેલ રહેશે.’

coronavirus covid19 maharashtra mumbai mumbai news arita sarkar