04 April, 2022 06:18 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
બૃહન્મુંબઈ મહાનગર પાલિકાના ડેટા અનુસાર મુંબઈમાં 12થી 14 વર્ષની વયજૂથના બાળકો માટે રસીકરણ અભિયાનને નબળો પ્રતિસાદ મળ્યો છે. આ વય જૂથ માટે રસીકરણ ઝુંબેશ લગભગ 15 દિવસ પહેલા શરૂ થઈ હોવા છતાં, ડેટા અનુસાર, અત્યાર સુધી આ વયજૂથના માત્ર 10 ટકા લોકોને કોવિડ-19 માટે રસી આપવામાં આવી છે.
મુંબઈમાં 12-14 વર્ષની વયજૂથના લગભગ 4 લાખ બાળકો છે. નાગરિક સંસ્થાના ડેટા મુજબ, અત્યાર સુધીમાં 38,365 બાળકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. 12થી 14 વર્ષના બાળકો માટે 16 માર્ચે દેશભરમાં રસીકરણ શરૂ થયું હતું. આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે દરરોજ કોવિડ-19 કેસોમાં ઘટાડાને કારણે અભિયાનને અપેક્ષિત પ્રતિસાદ મળ્યો નથી.
BMCના એક અધિકારીએ જણાવ્યું હતું કે “રસી વિશે જાગૃતિ લાવવા માટે પગલાં લેવામાં આવ્યા છે, જેથી વધુને વધુ માતા-પિતાને આગળ વધવા અને તેમના બાળકોને રસી અપાવવા માટે પ્રોત્સાહિત કરી શકાય. 12-14 વર્ષની વય જૂથના બાળકોને હૈદરાબાદ સ્થિત કંપની બાયોલોજિકલ Eની પ્રોટીન સબ-યુનિટ Corbevax રસી આપવામાં આવી રહી છે. મુંબઈની ખાનગી હોસ્પિટલોએ અગાઉ રસીના બગાડના ડરથી 12-14 વર્ષના બાળકો માટે રસીકરણ અભિયાનથી દૂર રહેવાનું નક્કી કર્યું હતું.