11 May, 2021 09:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવાબ મલિક
દેશમાં કોવિડ-19ની મહામારીને નિયંત્રિત કરવાના કેન્દ્રના પ્રયાસોની ટીકા કરતાં મહારાષ્ટ્રના સત્તાધારી પક્ષ એનસીપી અને કૉન્ગ્રેસે દેશમાં એક રાષ્ટ્ર, એક નીતિ બનાવવાની હાકલ કરી હતી.
રાજ્યમાં માઇનૉરિટી અફેર્સ ખાતાના પ્રધાન અને એનસીપીના નેતા નવાબ મલિકે કોરોનાવાઇરસ સામેની લડતની નીતિ તૈયાર કરવા સર્વપક્ષીય મીટિંગ બોલાવવાની માગણી કરતાં કહ્યું હતું કે દેશમાં વર્તમાન પરિસ્થિતિના નિવારણ માટે એક રાષ્ટ્ર, એક નીતિની માત્ર જાહેરાત કરવાને બદલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ દિશામાં નક્કર પગલાં લેવાની આવશ્યકતા છે. નવાબ મલિકે કહ્યું હતું કે ‘ઉત્તર પ્રદેશ અને બિહારમાં એવી પરિસ્થિતિ છે કે મરનારના અંતિમ સંસ્કાર સ્મશાનને બદલે નદીકિનારે કરવા પડે છે. કેન્દ્ર કોવિડ-19ની પરિસ્થિતિને સંભાળવા સક્ષમ નથી એ હવે દરેકના મનમાં સ્પષ્ટ થઈ ચૂક્યું છે.’
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઑક્સિજનની ફાળવણી અને અન્ય તબીબી સહાય માટે સુપ્રીમ કોર્ટના આદેશને પગલે ટોચના તબીબી નિષ્ણાતોની ૧૨ સભ્યોના નૅશનલ ટાસ્ક ફોર્સના ગઠન વિશે નવાબ મલિકે આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર એનાં કાર્યો વ્યવસ્થિતપણે ન કરી રહ્યું હોવાથી કોર્ટના આદેશથી એ પાર પાડવાં પડે છે.