04 January, 2021 11:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈમાં થર્ટીફર્સ્ટ નાઇટે ખુલ્લામાં લઘુશંકા કરી રહેલા યુવકને ટપારવા જતાં એ યુવકે તેના મિત્રો સાથે મળીને ટપારનારને એવો માર માર્યો કે તેનું મોત થઈ ગયું. રબાળે એમઆઇડીસી પોલીસે હત્યાનો ગુનો નોંધી ચારેય યુવાનોની ધરપકડ કરી છે.
નવી મુંબઈના રબાળે એમઆઇડીસી પોલીસ-સ્ટેશનની હદમાં આવેલા અણ્ણાભાઉ સાઠે નગરમાં આ ઘટના થર્ટીફર્સ્ટ ડિસેમ્બરે મધરાત પછી બની હતી. એક કંપનીમાં માળીનું કામ કરતા ૩૫ વર્ષના સચિન ગંગારામ પાટીલે રાતે દોઢ વાગ્યે તેમના વિસ્તારમાં રહેતા આકાશ ઉમાજી ગાયકવાડને ગલીમાં ખુલ્લામાં લઘુશંકા કરતો જોઈને તેને ટપાર્યો હતો અને ત્યાં લઘુશંકા ન કરવાનું કહ્યું હતું. ત્યાર બાદ ભડકેલા આકાશે તેના મિત્ર રોહિત ઝુંબાડે સાથે મળીને પહેલા તેને મુક્કા-લાતથી માર માર્યો હતો. એટલું પૂરતું ન હોય એમ તેણે ફોન કરીને પોતાના અન્ય બે મિત્રો સંતોષ કોંડીબા ગાયકવાડ અને શંકર કોંડીબા ગાયકવાડને બોલાવીને ફરી સચિનને ખૂબ માર માર્યો હતો. એ વખતે તેમને માર મારતાં ત્યાં જ રહેતો પરમેશ્વર બજરંગ પવાર જોઈ ગયો હતો.
જોકે એ પછી સચિનની પત્ની રૂપાલી ઘટનાસ્થળે આવી હતી અને બેભાન થઈ ગયેલા સચિનને કળવાની છત્રપતિ શિવાજી હૉસ્પિટલ લઈ ગઈ હતી, પણ ડૉક્ટરોએ તેને તપાસીને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. ત્યાર બાદ રબાળે એમઆઇડીસી પોલીસને આ કેસ વિશે જાણ કરી હતી. રબાળે પોલીસે આવીને તપાસ કરતાં પરમેશ્વર પવારે કહ્યું હતું કે મેં જોયું હતું કે આરોપીઓ સચિનને માર મારી રહ્યા હતા. ત્યાર બાદ તેણે આપેલી ફરિયાદના આધારે ચારેચાર આરોપીઓને ઝડપી લેવાયા હતા. આમ નાની એવી વાતમાં સચિને જીવ ખોવો પડ્યો હતો.