09 July, 2026 09:28 PM IST | Nashik | Gujarati Mid-day Online Correspondent
નિદા ખાન (ફાઇલ તસવીર)
નાસિકની એક અદાલતે ધર્મ પરિવર્તન, જિહાદ અને ઉત્પીડનના કેસમાં આરોપી TCSની કર્મચારી નિદા ખાનને જામીન આપ્યા હતા. ભગવાન કૃષ્ણના જેલમાં જન્મનું ઉદાહરણ આપતા કોર્ટે અવલોકન કર્યું કે કોઈપણ બાળકને જેલમાં જન્મ લેવાનું સામાજિક કલંક સહન ન કરવું જોઈએ. ધરપકડના બે મહિનાથી વધુ સમય પછી પાંચ મહિનાની ગર્ભવતી નિદા ખાનને સોમવારે જામીન આપવામાં આવ્યા. ગુરુવારે જાહેર કરાયેલા વિગતવાર કોર્ટના આદેશમાં જણાવાયું હતું કે તેના અજાત બાળકના હિતોને ધ્યાનમાં રાખીને તેના પક્ષમાં ન્યાયિક વિવેકનો ઉપયોગ કરવો વાજબી અને યોગ્ય રહેશે.
કોર્ટે આદેશમાં, ખાસ ન્યાયાધીશ કે. જી. જોશીએ જણાવ્યું હતું કે, "એમાં કોઈ વિવાદ નથી કે અરજદાર, નિદા, પાંચ મહિનાની ગર્ભવતી છે. ભગવાન કૃષ્ણની જેમ જેલમાં જન્મ લેવાનો આઘાત અને તેની સાથે સંકળાયેલ સામાજિક કલંક કોઈપણ માટે અસહ્ય છે. આવી પરિસ્થિતિ ટાળવા અને નવજાત શિશુના એકંદર સુખાકારી માટે, અરજદાર-આરોપી તરફે ન્યાયિક વિવેકનો ઉપયોગ કરવો વાજબી અને યોગ્ય રહેશે."
ટીસીએસ નાશિક કેસમાં આરોપી આઠ કર્મચારીઓમાંની એક નિદા ખાન છે. 26 માર્ચથી 3 એપ્રિલ દરમિયાન, નાસિક શહેર પોલીસે નાસિકમાં ટીસીએસ બીપીઓ ઑફિસમાં સાથીદારો સાથે જાતીય સતામણી અને બળજબરીથી ધર્મ પરિવર્તનનો આરોપ લગાવતા નવ એફઆઈઆર નોંધી હતી. તેના પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો અને કથિત રીતે એક સાથીદારને બુરખો અને મઝહબી પુસ્તકો આપીને ઇસ્લામિક માન્યતાઓનું પાલન કરવા માટે પ્રેરિત કરવાનો આરોપ છે, તેમજ સાથીદારના ફોન પર ધાર્મિક ઍપ્લિકેશનો ઇન્સ્ટોલ કરવાનો પણ આરોપ છે.
સૅશન્સ કોર્ટ દ્વારા નિદા ખાનની આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ 7 મેના રોજ છત્રપતિ સંભાજીનગરના એક ઘરમાંથી નિદા ખાનની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેના પર અનેક શરતો લાદી હતી, જેમાં ફરિયાદીના કાર્યસ્થળ અથવા રહેણાંક વિસ્તારમાં પ્રવેશવા પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. કોર્ટે તેને ફરિયાદી, કોઈપણ સાક્ષીઓ અથવા કેસ સાથે સીધા જોડાયેલા કોઈપણ વ્યક્તિનો સંપર્ક કરવા અને પુરાવા સાથે છેડછાડ કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. તેને કોર્ટની પરવાનગી વિના દેશ છોડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને કોર્ટ અને તપાસકર્તાઓને તેનું સરનામું અને સંપર્ક નંબર આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. કોર્ટે ચેતવણી આપી છે કે જો શરતોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો જામીન રદ કરવામાં આવશે.
પોતાની સામે પોલીસ-ફરિયાદ થઈ છે અને પોલીસ ગમે ત્યારે ધરપકડ કરી શકે છે એવું જાણી ચૂકેલી નિદા ખાન ધરપકડ ટાળવા એકથી બીજા શહેરમાં નાસતી ફરી રહી હતી. ૪૪ દિવસ સુધી તે આ સંતાકૂકડી રમતી રહી હતી. તપાસમાં જણાઈ આવ્યા મુજબ તે સૌથી પહેલાં નાશિકથી થાણે ગઈ હતી. એ પછી ભિવંડી ગઈ હતી. એ પછી થોડા દિવસ મુંબઈમાં રહી અને ત્યાર બાદ સોલાપુરમાં સંબંધીને ત્યાં પહોંચી ગઈ હતી. તેણે માલેગાવમાં પણ સ્થાનિક સ્તરે મદદ મેળવવાની કોશિશ કરી હતી, પણ તેને ત્યાંથી મદદ મળી નહોતી. એ પછી તે છત્રપતિ સંભાજીનગર અને ત્યાંથી તેલંગણ નાસી જવાનો પ્લાન કરી રહી હતી. એ પછી તેણે છત્રપતિ સંભાજીનગરમાં પૉલિટિકલ પાર્ટી અને એના નેતાઓની મદદ લઈને કાયદાકીય કાર્યવાહીમાંથી છુટકારો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો ત્યાં પણ મદદ ન મળે તો નાંદેડ જઈને તે તેલંગણ જવાની હતી. જોકે તે તેલંગણ નીકળી જાય એ પહેલાં જ પોલીસે તેને ઝડપી લીધી હતી.