કેસીસ ભલે ઘટ્યા પણ હજીય સુપર સ્પ્રેડરનું જોખમ?

01 December, 2020 10:47 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

કેસીસ ભલે ઘટ્યા પણ હજીય સુપર સ્પ્રેડરનું જોખમ?

ફાઈલ તસવીર

મુંબઈમાં સુપર સ્પ્રેડરનું જોખમ વધવાની શક્યતા જોવાઈ રહી છે. મુંબઈ મહાનગરપાલિકાએ દિવાળી બાદ હાથ ધરેલા માસ ટેસ્ટિંગમાં ગિરદીના સંપર્કમાં આવનાર ૧૫૦ લોકોની કોરોના-ટેસ્ટ પૉઝિટિવ આવી હોવાનું જણાયું છે. માલ-સામાન વેચનારા, વેપારીઓ અને બસના ડ્રાઇવર-કન્ડક્ટરનો આ ૧૫૦ નવા કેસમાં સમાવેશ છે.

લોકલ ટ્રેન સામાન્ય લોકો માટે બંધ છે, પણ દિવાળી પહેલાં અને ત્યાર બાદ બજારમાં મોટા પ્રમાણમાં ગિરદી જામી હતી એથી મુંબઈ પાલિકાએ દિવાળી બાદ એટલે કે ૧૫ નવેમ્બરથી માસ ટેસ્ટિંગની ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં ખાસ કરીને ગિરદીમાં અન્ય લોકોના સંપર્કમાં આવનારાઓને આવરી લેવાયા હતા. દુકાનદારો, ફેરિયાઓ, જુદા-જુદા વેપારીઓ, બજારના વિક્રેતા સહિત બસના ડ્રાઇવર-કન્ડક્ટરનું ટેસ્ટિંગ થયું હતું.

પાલિકા દ્વારા છેલ્લા ૧૫ દિવસમાં એક લાખ લોકોનું ટેસ્ટિંગ હાથ ધરાયું હતું, જેમાં ૧૫૦ લોકોની કોવિડ-ટેસ્ટ પૉઝિટિવ આવી હતી. ટેસ્ટિંગની સરખામણીએ પૉઝિટિવ કેસ ઓછા નોંધાયા હોવા છતાં આ તમામ લોકો એક, બે કે એથી વધુ લોકોના સતત સંપર્કમાં આવ્યા હતા એટલે કે ગિરદીમાં ગયા હોવાથી તેમને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું એ ચિંતાજનક હોવાનું પાલિકાના આરોગ્ય વિભાગના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.

સાવચેતીનાં પગલાં તરીકે આ તમામ ૧૫૦ પૉઝિટિવ પેશન્ટ્સને આઇસોલેટ કરીને સારવાર માટે જુદી-જુદી હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા છે. તેમના કુટુંબીજનોની પણ ટેસ્ટ કરાઈ છે. આ કેસ પરથી જણાઈ આવે છે કે ગિરદીમાં જનારા લોકોને કોરોનાનું સંક્રમણ લાગી રહ્યું છે. આથી ભવિષ્યમાં મુંબઈમાં સુપર સ્પ્રેડરનું જોખમ વધી શકે છે.

બીજી બાજુ, રાજ્યમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કોરોનાની બીજી લહેર આવવાની શક્યતાને ધ્યાનમાં રાખીને રાજ્યનાં આરોગ્ય સંચાલક ડૉ. અર્ચના પાટીલે પરિપત્ર કાઢીને જિલ્લા પરિષદ, મહાનગરપાલિકા અને આરોગ્ય યંત્રણાને સતર્ક રહવાની સૂચના આપી છે.

સુપર સ્પ્રેડર કોણ?

કરિયાણાના દુકાનદાર, શાકભાજી વેચનારા, ફુટપાથ પર વસ્તુઓ વેચનારા, હોટેલમાલિકો-વેઇટર, હોમ સર્વિસ પૂરી પાડતા કર્મચારી, માલસામાનની હેરાફેરી કરતા ટ્રક-ટેમ્પોના ડ્રાઇવર, રિક્ષાચાલક, હમાલ, પેઇન્ટર, બાંધકામના મજૂર, સાર્વજનિક પરિવહનના ડ્રાઇવર-કન્ડક્ટર, સિક્યૉરિટી ગાર્ડ, અસેન્શિયલ સર્વિસ આપતા સરકારી-અર્ધસરકારી કર્મચારીઓ અને પોલીસ તથા હોમગાર્ડ. આ તમામ લોકોના સંપર્કમાં આવનારાઓને કોરોના-સંક્રમણ થવાની શક્યતા રહે છે.

mumbai mumbai news coronavirus covid19 lockdown maharashtra prakash bambhrolia