29 September, 2025 02:38 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાંથી ફરી એકવાર ભયજનક સમાચાર (Mumbai Police) સામે આવ્યા હતા. મુંબઈના શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનને બૉમ્બની ધમકી મળી હતી. આ ધમકીમાં એવો દાવો કરાયો છે કે દાદર રેલવે સ્ટેશન પર કથિત રીતે બૉમ્બ મૂકવામાં આવ્યો છે. જોકે, આ એક ફ્રોડ કોલ હોવાનું જણવા મળ્યું હતું એમ પોલીસે જણાવ્યું હતું. આ કોલ મળ્યા બાદ તરત જ મુંબઈ પોલીસે સરકારી રેલવે પોલીસ અને બૉમ્બ સ્ક્વોડ સાથે મળીને સ્ટેશન અને આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી ન હતી જે રાહતના સમાચાર છે. કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસ ફોન કરનારને શોધવાનું કામ કરી રહી છે. પોલીસે (Mumbai Police) ઉમેર્યું હતું કે, શરૂઆતમાં આ એક બનાવટી કોલ હોવાનું જણાય છે.
આ સાથે જ તમને જણાવી દઈએ કે રવિવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય (IGI) એરપોર્ટ પર ઘણી સ્કૂલ અને અન્ય ઘણી જ સંસ્થાઓને બૉમ્બની ધમકીના ઇમેઇલ્સ મળ્યા હતા એમ પોલીસે જણાવ્યું હતું. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર "દિલ્હી એરપોર્ટ, સ્કૂલો અને અન્ય ઘણી સંસ્થાઓને બૉમ્બની ધમકીનો ઈ-મેલ મોકલવામાં આવ્યો છે. આ મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે " તેમ એએનઆઈએ જણાવ્યું હતું. આ ઈમેલમાં દાવો કરવામાં આવ્યો હતો કે સ્કૂલો અને એરપોર્ટની આસપાસ બૉમ્બ મૂકવામાં આવ્યા છે અને જો અધિકારીઓ ૨૪ કલાકની અંદર કોઈ કાર્યવાહી નહીં કરે તો `બ્લડ પૂલ`ની ચેતવણી પણ આપવામાં આવી હતી. આ ઈમેઈલ મોકલનારે પોતાને `ટેરરાઇઝર્સ 111` નામના કોઈ આતંકવાદી ગ્રૂપના નેતા તરીકે ઓળખાવ્યો હતો. ધમકીભર્યા ઈમેઈલમાં જણાવવામાં આવ્યું હતું કે સ્કૂલો અને એરપોર્ટ વિસ્તારની આસપાસ બૉમ્બ મુકાયા છે. જેને નિષ્ક્રિય કરવા કે પછી બ્લડ પૂલનો સામનો કરવા માત્ર ૨૪ કલાકનો સમય હતો એમ પોલીસે જણાવ્યું હતું.
અગાઉ બોમ્બે હાઈકોર્ટને પણ ૧૯ સપ્ટેમ્બરના રોજ બૉમ્બની ધમકીનો ઈ-મેલ મળ્યો હતો. જે એક અઠવાડિયામાં બીજો આવો ધમકીભર્યો કોલ હતો, જેની તપાસ કરવામાં આવતાં જણાયુ હતું કે આ બૉમ્બ ફેક છે. દક્ષિણ મુંબઈમાં બોમ્બે હાઈકોર્ટના પરિસરમાં બૉમ્બ બ્લાસ્ટ અંગેનો ઇ-મેલ વહેલી સવારે મળ્યો હતો.
બૉમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (બીડીડીએસ) અને ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે આ મામલે કશુય શંકાસ્પદ મળ્યું ન હતું, કોર્ટમાં પણ બધું જ રાબેતા મુજબ જ ચાલ્યું હતું. બોમ્બે હાઈકોર્ટને ૧૨મી સપ્ટેમ્બરના રોજ આવો જ ધમકીભર્યો ઈમેઈલ મળ્યો હતો જેના કારણે કોર્ટમાં સુનાવણીની (Mumbai Police) પ્રક્રિયા થોડા ક કલાકો માટે સ્થગિત થઇ ગઈ હતી.
પોલીસે અજાણ્યા લોકો સામે કેસ નોંધેલ
પોલીસે (Mumbai Police) આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (બી. એન. એસ.)ની કલમ 353 (1) 353 (2) હેઠળ એફઆઈઆર નોંધી હતી. આ કલમોનો હેતુ છે કે ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા ખોટી માહિતી અથવા ભયજનક સમાચારોના પ્રકાશનને ગુનાહિત બનાવીને જાહેર તોફાનના કૃત્યોને ઉકેલવાનો છે અથવા વિવિધ જૂથો વચ્ચે દુર્ભાવનાપૂર્ણ લાગણી પેદા કરવાનો ઇરાદો ધરાવે છે, અથવા સેના, નૌકાદળ અથવા વાયુસેનાના સૈનિકોને તેમની ફરજની અવગણના કરવા દબાણ કરે છે.