21 October, 2020 07:37 AM IST | Mumbai | Shirish Vaktania
જતીન પરમાર
કેઈએમ હૉસ્પિટલમાં ડૉક્ટરોની મારઝૂડ કરવા બદલ ધરપકડ કરવામાં આવેલા નવીન પરમારે જણાવ્યું હતું કે મેં ગેરવર્તન કર્યું હોવાનું હું કબૂલું છું, પરંતુ મારા નાના ભાઈ જતીનની સારવારમાં હૉસ્પિટલની બેદરકારી તરફ કેમ જકોઈ ધ્યાન આપતું નથી. નવીનભાઈએ ૧૭ વર્ષના જતીનને કેઈએમ હૉસ્પિટલમાં દાખલ કર્યા પછીની સારવારની વિગતો વર્ણવી હતી. જતીનના મોત માટે હૉસ્પિટલની બેદરકારી કારણભૂત હોવાનું નવીન પરમાર ભારપૂર્વક જણાવે છે.
જતીન પરમારના પરિવારે દાવો કર્યો હતો કે કેસ ઇમર્જન્સીનો હોવાનું જણાવ્યા છતાં હૉસ્પિટલના ડૉક્ટરોએ ટેસ્ટ કરાવવામાં ૧૨ કલાકનો વિલંબ કર્યો હતો. હૉસ્પિટલના સ્ટાફે નવીનભાઈને પૂછ્યા વગર જતીનનું વેન્ટિલેટર હટાવી લીધું હોવાનો આરોપ પણ પરમારકુટુંબે મૂક્યો હતો. હૉસ્પિટલના સ્ટાફ સાથે ગેરવર્તન કરવા બદલ ધરપકડ કરવામાં આવેલા નવીન પરમારને અદાલતે જામીન પર છોડ્યો હતો. ડૉક્ટરોએ મૃત્યુ પામેલો જાહેર કર્યા પછી પણ શ્વાસ લેતા જતીનનો વિડિયો સપ્ટેમ્બર મહિનામાં સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. પ્રભાદેવીના રહેવાસી જતીન પરમારને ૬ સપ્ટેમ્બરે સખત તાવની વ્યાધિને કારણે કેઈએમ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ૯ સપ્ટેમ્બરે જતીન મૃત્યુ પામ્યો હતો. ડૉક્ટરોએ જતીનને મૃત્યુ પામેલો જાહેર કર્યો ત્યારે તેના હૃદયના ધબકારા ચાલતા હોવાનો અને શરીરમાં ઉષ્મા બચી હોવાનો દાવો પરમારપરિવારે કર્યો હતો. નવીન પરમારે ડૉક્ટરને ફરી વેન્ટિલેટર ચાલુ કરવાનો આગ્રહ પણ કર્યો હોવાનું તેઓ કહે છે.
નવીન પરમારે જણાવ્યું હતું કે ‘ગુસ્સામાં મેં આત્યંતિક વર્તન કર્યું હોવાનું હું માનું છું, પરંતુ હૉસ્પિટલના સ્ટાફની બેદરકારી અને તેમના ગેરવર્તનને કારણે મારા ભાઈનું મોત નીપજ્યું એની સામે ચીડ અને રોષને કારણે હું ક્રોધિત થયો હતો. હૉસ્પિટલના બેડ પર કીડી ફરતી હતી અને આઇવી નિડલ આડેધડ ઘુસાડી હોવાથી દોઢ કલાકથી ભાઈના હાથમાંથી લોહી વહેતું હતું. મેં જતીનના લોહી નીંગળતા હાથનો વિડિયો લીધો છે.’