15 May, 2021 10:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ
બીજેપીના નેતા દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે જણાવ્યું હતું કે અનામત પર ૫૦ ટકાની ટોચમર્યાદા વધારવા માટે મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરવી જોઈએ.
પાંચમી મેના રોજ સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદામાં બંધારણના ૧૦૨મા સુધારા અનુસાર નોકરી અને પ્રવેશ-પ્રક્રિયાઓમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (એસઈબીસી) માટે ક્વોટાની ફાળવણી કરવાની રાજ્યોને સત્તા નથી એવું ઠરાવ્યા બાદ કેન્દ્રએ એ ચુકાદાની સમીક્ષાની માગણી કરવા માટે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખખડાવ્યાના એક દિવસ બાદ ફડણવીસે નાગપુર ઍરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતાં ઉપરોક્ત નિવેદન આપ્યું હતું.
દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ‘કેન્દ્ર સરકારે ચુકાદાની ફેરવિચારણા કરવા માટે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરી છે. જોકે રાજ્યએ હજી અનામતની ૫૦ ટકા મર્યાદા વધારવા સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરી નથી. રાજ્ય સરકાર મરાઠા ક્વોટાના મામલે એની જવાબદારીઓમાંથી છટકીને અન્ય પર દોષારોપણ કરી રહી છે.’