23 August, 2021 05:38 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય મિડ-ડે
મુંબઇ લોકલ ટ્રેનોમાં ટિકિટ વગર પ્રવાસ કરનારા પ્રવાસીઓની વધતી સંખ્યા જોતા રેલવે જબરજસ્ત ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે. આ ચેકિંગ અભિયાન મુંબઇના જુદાં જુદાં સ્ટેશન પર ચલાવવામાં આવી રહ્યું છે. આ ચેકિંગ અભિયાનને કારણે એક અઠવાડિયામાં 40 હજારથી વધારે પ્રવાસીઓ ટિકિટ વગર પ્રવાસ કરતા પકડાયા છે, જેમની પાસેથી દોઢ કરોડથી વધારેનો દંડ વસૂલવામાં આવ્યો છે.
રેલવેના અધિકારી પાસેથી મળતી માહિતી પ્રમાણે ટિકિટ વગર પ્રવાસ કરનારાની સંખ્યમાં 15 ઑગસ્ટથી વેક્સિનના બન્ને ડૉઝ લીધાને 14 દિવસ થઈ ગયા હોય તેવા પ્રવાસીઓને લોકલમાં પ્રવેશની પરવાનગી મળ્યા પછી ખૂબ જ વધી છે. આ નિયમ બાદ લોકલમાં ટિકિટ વગર પ્રવાસીઓની સંખ્યા વધવાનું મોટું કારણ સરકાર અને રેલવે દ્વારા સિંગલ ટિકિટ આપવા પર હજી પણ પ્રતિબંધ છે. કેટલાય એવા પ્રવાસી છે જે મહિનામાં એક બેવાર જ પ્રવાસ કરે છે, એવામાં તે પાસ બનાવવાને બદલે ટિકિટ વગર પ્રવાસ કરી રહ્યા છે. વિનાટિકિટ પ્રવાસ કરનારા યાત્રીઓમાં ઑફિસ જનારા અને ડેલી કમાનારાની સંખ્યા વધારે છે.
મધ્ય રેલવેના CPRO શિવાજી સુતારે જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં ટિકિટ વગર પ્રવાસ કરનારાની સંખ્યામાં વધારો જોતા રેલવેએ આ ડ્રાઇવ ચલાવી છે. લગભગ 53 સ્ટેશન પર આ પ્રકારની ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. છેલ્લા એક અઠવાડિયામાં લગભગ દોઢ કરોડ રૂપિયા દંડ તરીકે વિનાટિકિટ પ્રવાસીઓ પાસેથી વસૂલવામાં આવ્યા છે.
રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે મધ્ય રેલવેમાં 15 ઑગસ્ટથી 22 ઑગસ્ટ દરમિયાન 53 સ્ટેશન પર લગભગ 40 હજાર વિનાટિકિટ પ્રવાસ કરતા પ્રવાસીઓ પકડાયા છે. જેમાંથી લગભગ 1.42 કરોડ રૂપિયા દંડ તરીકે વસૂલવામાં આવ્યા છે. પશ્ચિમ રેલવેમાં 15 ઑગસ્ટથી 22 ઑગસ્ટ વચ્ચે કુલ 4622 વિનાટિકિટ પ્રવાસીઓ પકડાયા છે, જેમની પાસેથી સાડા બાર લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા છે.
રેલવેના આંકડા જણાવે છે કે 15 ઑગસ્ટ પછીથી લોકલ ટ્રેનોમાં વિનાટિકિટ પ્રવાસીઓની સંખ્યા વધી છે. આ આંકડાને જોતા ચેકિંગ વધુ કડક બનાવવામાં આવી છે.
વૅક્સિનનો પહેલો ડૉઝ મેળવી ચૂકેલા લોકોને પણ લોકલ ટ્રેનોમાં પ્રવેશ આપવાને લઈને પ્રવાસી સંગઠન અને પ્રવાસીઓ તરફથી સતત માગ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, સિંગલ ટિકિટ જાહેર કરવાની પણ માગ ઝડપથી ઉઠી રહી છે, પણ અત્યાર સુધી રાજ્ય સરકાર અને રેલવે તરફથી આના પર કોઈ નિર્ણ લેવામાં આવ્યો નથી. એવામાં રેલવે પરવાનગી મળ્યા પછી જ પ્રવાસ કરવાની અપીલ કરી રહી છે.