11 November, 2020 10:27 AM IST | Mumbai | Agency
કમલા મિલ્સ કમ્પાઉન્ડ
૨૦૧૭માં કમલા મિલ કમ્પાઉન્ડના પરિસરમાં આવેલા એક પબમાં લાગેલી આગના કેસમાં એ મિલ-કમ્પાઉન્ડના બે માલિકોને મંગળવારે મુક્ત કર્યા હતા. આ દુર્ઘટનામાં ૧૪ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
જોકે અદાલતે પબ અને રેસ્ટોરાંના માલિકો, બીએમસીના અધિકારીઓ તથા અન્ય આરોપીઓના ડિસ્ચાર્જની અરજીઓ નામંજૂર કરી હતી. તેમણે આઇપીસીની સુસંગત કલમો અને મહારાષ્ટ્ર ફાયર પ્રિવેન્શન ઍન્ડ લાઇફ સેફ્ટી ઍક્ટ હેઠળ આરોપોનો સામનો કરવાનો રહેશે.
કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં આવેલી વન અબવ રેસ્ટોરાં અને મોજોઝ બિસ્ટ્રો પબમાં ૨૦૧૭ની ૨૯ ડિસેમ્બરે આગ ફાટી નીકળી હતી, જેમાં ૧૪ વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં અને ઘણા લોકો ઈજા પામ્યા હતા.
આ કેસમાં પોલીસે ઇમારતના માલિકો અને કર્મચારીઓ, બીએમસીના અધિકારીઓ, કમ્પાઉન્ડના માલિકો સહિત ૧૪ જણની ધરપકડ કરી હતી. અદાલતે કમ્પાઉન્ડના માલિકો રમેશ ગોવાની અને રવિ ભંડારીને છોડી મૂક્યા હતા. બન્નેએ દાવો કર્યો હતો કે આગની ઘટના બદલ તેમની ધરપકડ થઈ શકે નહીં.
તેમના ઉપરાંત વન અબવના બે મૅનેજર, હોટેલિયર વિશાલ કારિયા, વન અબવના માલિકો ક્રિપેશ મનસુખ સંઘવી, જિગર મનસુખ સંઘવી, મોજોઝ બિસ્ટ્રો પબના માલિક યુગ રવીન્દરપાલ સિંઘ તુલી અને ફાયર-ઑફિસર રાજેન્દ્ર બબન પાટીલે પણ છુટકારા માટે અરજી કરી હતી.
ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષ પહેલા ડિસેમ્બર મહિનાના અંતિમ અઠવાડિયે પબમાં આગ લાગ્યા બાદ મુંબઈભરમાં હોટેલ અને પબમાં એન્ટ્રી અને અેક્ઝિટ પૉઈન્ટને બ્લૉક કરાયા હોય અેવી જગ્યાએ પાલિકાએ કાર્યવાહી કરી હતી. જો કે લોકોઅે આવી રીતે ગેરકાયદે કામને કોણે પરવાનગી આપી અેવો સવાલ કરીને બીઅેમસી સામે જ આંગળી ચીંધી હતી.