ઇકો-ફ્રેન્ડ‍્લી બાપ્પા માટે BMCએ પ્રૉમિસ કરેલી ૧૦૦૦ કિલો શાડૂ માટી મૂર્તિકારોને હજી નથી મળી

10 June, 2026 07:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ બાબતે BMCના એક ઑફિસરે કહ્યું હતું કે ‘અમને કેટલાક ચોક્કસ વિસ્તારમાંથી એ માટી મેળવવામાં તકલીફ પડી રહી છે છતાં અમે પૂરતી સપ્લાય થઈ શકે એ માટેના પ્રયાસ કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં એનું ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવશે.’

પ્રતીકાત્મક તસવીર

પાણીના કુદરતી સ્રોતોમાં પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP)ની ગણપતિની મૂર્તિઓનું વિસર્જન ન થાય એ માટે BMC છેલ્લાં ઘણાં વર્ષોથી પ્રયાસ કરી રહી છે. એ માટેના પ્રયાસો અંતર્ગત BMCએ મૂર્તિકારોને પર્યાવરણને હાનિ ન પહોંચાડે એવી શાડૂ માટી ફ્રી આપવાની બાંયધરી આપી હતી જેથી એનાથી જ મૂર્તિઓ બને અને પર્યાવરણને નુકસાન ન થાય. BMCએ દરેક રજિસ્ટર્ડ મૂર્તિકારને ૪૦ બૅગ એટલે કે ૧૦૦૦ કિલો શાડૂ માટી ફ્રી આપવાનો નિર્ણય લીધો હતો. હવે જ્યારે ગણેશોત્સવને ૪ મહિના બાકી રહ્યા છે ત્યારે પૂરતા પ્રમાણમાં મૂર્તિઓ તૈયાર કરવાનું કાર્ય શરૂ કરવા મૂર્તિઓ બનાવવાનો સમય શરૂ થઈ ગયો છે, પણ BMCએ હજી સુધી તેમને શાડૂ માટીની સપ્લાય નથી કરી.  

મૂર્તિકારોનું કહેવું છે કે ‘શાડૂ માટીની મૂર્તિ બનાવવામાં સમય લાગે છે અને એ મૂર્તિઓ બની ગયા પછી સુકાવામાં પણ ઘણો સમય જાય છે. જો સમયસર શાડૂ માટી નહીં મળે તો પૂરતા પ્રમાણમાં પણપતિબાપ્પાની મૂર્તિ નહીં બનાવી શકાય જેથી અમારા રોજગાર પર એની અસર થશે.’ 

આ બાબતે BMCના એક ઑફિસરે કહ્યું હતું કે ‘અમને કેટલાક ચોક્કસ વિસ્તારમાંથી એ માટી મેળવવામાં તકલીફ પડી રહી છે છતાં અમે પૂરતી સપ્લાય થઈ શકે એ માટેના પ્રયાસ કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં એનું ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવશે.’ 

ગયા વર્ષે BMCએ મુંબઈના ૫૦૦ મૂર્તિકારોને ૯૯૦ ટન શાડૂ માટી આપી હતી. ગયા વર્ષે મુંબઈમાં જે ૧.૮૧ લાખ ગણેશમૂર્તિઓનું વિસર્જન થયું હતું એમાંથી ૩૦,૦૦૦થી ૪૦,૦૦૦ જેટલી મૂર્તિઓ શાડૂ માટીની હતી.   

લાલબાગચા રાજાનું પાદુકાપૂજન થયું, મૂર્તિનું કામ શરૂ

દેશ-વિદેશના કરોડો ગણેશભક્તોના આરાધ્યદેવ ગણાતા લાલબાગચા રાજાની મૂર્તિનું પાદુકાપૂજન ગઈ કાલે સવારે પરંપરાગત અને વિધિવત્ રીતે કરવામાં આવ્યું હતું. લાલબાગચા રાજા માર્ગ પર આવેલા ઐતિહાસિક હનુમાન મંદિર પાસે લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળના અધ્યક્ષ બાળાસાહેબ કાંબળેના હસ્તે આ ધાર્મિક વિધિ સંપન્ન થઈ હતી. આ પૂજન બાદ હવે મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં તહેવારોનાં ઢોલ-નગારાં સત્તાવાર રીતે વાગવા માંડશે.આ પાદુકાપૂજનના પવિત્ર અવસર સાથે ગઈ કાલથી લાલબાગચા રાજાની ભવ્ય મૂર્તિ બનાવવાની કામગીરીનો પણ પ્રારંભ થયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રખ્યાત મૂર્તિકાર કાંબળીબંધુઓના હસ્તે બાપ્પાની મનમોહક મૂર્તિનું કામ શરૂ થયું છે. લાલબાગચા રાજાના પાદુકાપૂજનની ભક્તો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે, કારણ કે આ દિવસથી જ ગણેશચતુર્થીની તૈયારીઓ વેગ પકડે છે. ગઈ કાલે વહેલી સવારે યોજાયેલા આ કાર્યક્રમમાં મંડળના પદાધિકારીઓ અને સ્થાનિક શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. 

mumbai news mumbai brihanmumbai municipal corporation ganesh chaturthi festivals culture news lalbaugcha raja