22 October, 2020 07:16 AM IST | Mumbai | Diwakar Sharma
પાલઘર-નાશિક હાઇવે પર ખાડાઓ હોવાની સાથે અચાનક વળાંક આવતા હોવાથી લૂંટારાઓ પ્રવાસીઓનાં વાહનોને સરળતાથી નિશાન બનાવે છે.
હાઇવે પર ચોરી કરતા ચોર માટે પાલઘર-નાશિક રોડ પરનું સૌથી આઇડિયલ લોકેશન એટલે તોરણગડ ઘાટ. આ રોડ પર ચોરની ટુકડી ઝાડ પાછળ છુપાઈને ક્યારેક માલસામાનથી ભરેલા ટ્રક પર તો ક્યારેક પ્રવાસીઓનાં વાહનો પર પથ્થરમારો કરે છે, જેથી વાહનનો ડ્રાઇવર ગાડી રોકી દે અથવા તો સ્પીડ ધીમી કરી નાખે. આ તકનો લાભ લઈને ટુકડીઓ હાથ સાફ કરી જાય છે તો ક્યારેક માલસામાનથી ભરેલા ટ્રકને પણ ઉપાડી જાય છે.
કેટલાક ઉદ્યોગપતિએ આ વાતની ફરિયાદ કરી હતી કે લૉકડાઉન બાદ ચોરીની સંખ્યામાં વધારો થયો છે. જવાહરમાં આવેલી મિલના માલિક આરીફ ઇકબાલ વાનચેસાનું કહેવું છે કે ‘તાજેતરમાં દોઢ લાખ રૂપિયાના રો-મટીરિયલથી ભરેલી અમારી ટ્રક નાશિકથી જઈ રહી હતી અને એ સમયે ચોરોએ ગાડી પર પથ્થરમારો કર્યો હતો. અમારા ડ્રાઇવર જિતેન્દ્ર રાયને ચોરોની આ મોડસ ઓપરેન્ડી વિશે જાણકારી હતી. સારું છે કે જિતેન્દ્ર જખમી નથી થયો, પણ વાહનને ઘણું નુકસાન થયું છે.’
આ ઉદ્યોગપતિ ઉપરાંત જવાહર તાલુકાના જુનૈદ મેનનને પણ આ પ્રકારનો અનુભવ થયો હતો, જેના બાદ તેમણે મોખાડા પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવ્યો હતો. આ ઉપરાંત ખાલી વાહનોની આડમાં આ સંબંધી ભરેલાં વાહનોને લૂંટવાના કેટલાક કિસ્સા બન્યા હતા. જોકે પ્રવાસ દરમિયાન વાહન લૂંટાયા હોવાથી એની ફરિયાદ કયા જુરિસ્ડીકેશનમાં કરવી એ બાબતે લોકોમાં કન્ફ્યુઝન છે.
મોખાડા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંજય અંબારેનું કહેવું છે કે ચોરીની સંખ્યામાં વધારો નથી થયો, માત્ર કેટલીક ઘટનાઓની ફરિયાદ મળી છે. કોઈએ એફઆઇઆર નોંધાવ્યો નથી. ઘાટને સુરક્ષિત રાખવા માટે અમે રાતના પૅટ્રોલિંગ કરતા જ હોઈએ છીએ.’