20 March, 2020 10:07 AM IST | Mumbai | Dharmendra Jore
કોરોનાના કારણે ગભરાયેલા લોકો
યુનિવર્સિટીના વરિષ્ઠ અધિકારીઓએ અમેરિકાથી પરત આવ્યા બાદ જાતે એકાંતવાસ સ્વીકારવાને સ્થાને સામાજિક પ્રસંગોમાં હાજરી આપતાં અહમદનગર જિલ્લાના રાહુરી તાલુકાસ્થિત ૩૦૦૦ નિવાસી સંકુલ ધરાવતા પ્રતિષ્ઠિત મહાત્મા ફુલે કૃષિ વિદ્યાપીઠના લોકોએ લગભગ બે રાત ઉચાટમાં વિતાવી હતી. જોકે ટેસ્ટિંગ પછી તેમનો રિપોર્ટ નેગેટિવ આવતાં તાલુકાના તેમ જ યુનિવર્સિટી કૅમ્પસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
જિલ્લા કલેક્ટરની મધ્યસ્થી છતાં તેમણે સહકાર ન આપતાં તેહસીલદાર અને સ્થાનિક પોલીસની મદદથી આ બે વરિષ્ઠ અધિકારીઓને ૧૭ માર્ચે બળજબરી ક્વૉરન્ટીન્ડ કરાયા હોવાની જાણકારી ‘મિડ-ડે’ને મળી હતી.
આ પણ વાંચો : મુંબઈ: કર્ફ્યુ હોવા છતાં રવિવારે મુંબઈની લોકલ દોડશે
યુનિવર્સિટીના ફેકલ્ટી મેમ્બરે જણાવ્યું હતું કે સત્તાવાર કારણોસર અમેરિકાનો પ્રવાસ કરનારા આ બે વરિષ્ઠ અધિકારીઓમાંથી એક ટૂંક સમયમાં જ નિવૃત્ત થનાર છે. ચાલુ અઠવાડિયાની શરૂઆતમાં અમેરિકાથી પરત ફરેલા આ બન્ને અધિકારીઓ રોડ માર્ગે પુણે ગયા અને અનેક લોકોની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ ૧૭ માર્ચે તેમનું અભિવાદન કરનારાઓ સાથે પણ તેમણે સમય વિતાવ્યો હતો. શિક્ષિત સમાજના આ બે અધિકારીઓ પ્રોટોકોલ જાણતાં હોવા છતાં તેમના દ્વારા કરાયેલું આ વર્તન અસંવેદનશીલ છે. જોકે આ બન્ને અધિકારીઓની કોરોના વાઇરસ ટેસ્ટ નેગેટિવ આવતાં તેમના સંપર્કમાં આવેલા લોકોએ રાહત અનુભવી હતી.