16 May, 2021 08:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં થઈ રહેલા ઘટાડાનો સિલસિલો ગઈ કાલે પણ કાયમ રહ્યો હતો. પાલિકા પ્રશાસન દ્વારા ગઈ કાલે શહેરભરમાં ૨૪,૮૯૬ લોકોની કોવિડ ટેસ્ટ કરાઈ હતી. એમાંથી ૫.૮૧ ટકા પૉઝિટિવિટીના દરે ૧૪૪૭ લોકો પૉઝિટિવ આવ્યા હતા. આની સામે ૨૩૩૩ દરદીઓ રિકવર થઈને ઘરે ગયા હતા. જોકે ગઈ કાલે કોવિડના વધુ ૬૨ દરદીઓએ દમ તોડ્યો હતો એટલે શહેરમાં કુલ મૃત્યાંક ૧૪,૨૦૦ થયો હતો. ગઈ કાલે મૃત્યુ પામનારાઓમાંથી ૪૧ દરદીઓને પહેલેથી કોઈક બીમારી હતી. પાંચ દરદી ૪૦ વર્ષથી નીચેના, ૧૩ પેશન્ટ ૪૦થી ૬૦ વર્ષની વચ્ચેના અને ૪૪ દરદી સિનિયર સિટિઝન હતા. નવા દરદીઓ નોંધાવાની સામે વધુ પેશન્ટ રિકવર થઈને ઘરે જઈ રહ્યા હોવાથી શહેરમાં રિકવરીની ટકાવારી ૯૨ ટકા થઈ છે. કોરોનાની બીજી લહેરમાં સ્લમ અને બેઠી ચાલ મળીને કુલ ૮૭ ઍક્ટિવ કન્ટેનમેન્ટ ઝોન અત્યારે છે એની સામે પાંચથી વધુ કેસ નોંધાયા હોય એવી ૩૭૭ ઇમારતો સીલ કરાઈ છે. કેસ ડબલ થવાનો દર પણ વધીને ૨૧૩ દિવસ થયો છે. ગઈ કાલના આંકડા સાથે મુંબઈમાં અત્યાર સુધી કોરોનાના કુલ ૬,૮૭,૧૫૨ કેસ નોંધાવાની સામે ૬,૩૪,૩૧૫ પેશન્ટ રિકવર થયા છે અને ઍક્ટિવ કેસની સંખ્યા ૩૬,૬૭૪ થઈ છે.