22 July, 2019 11:07 AM IST | મુંબઈ
કલ્યાણના એક ગેસ્ટ હાઉસમાં યુવાને પ્રેમિકાના કપાળમાં લોહીનું ત્રિપુંડ કરીને હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરવાની ચોંકાવનારી ઘટના શુક્રવારે રાત્રે બની હતી. ફેસબુક પર મિત્રતા બાદ પ્રેમમાં પડેલો યુવાન મુંબઈમાં રહેતી પ્રેમિકાને મળવા મુંબઈ આવ્યો હતો. બન્ને ગેસ્ટ હાઉસમાં રોકાયાં હતાં ત્યારે પ્રેમીએ પહેલાં પ્રેમિકાની હત્યા કરી હતી અને બાદમાં પોતે ગળાફાંસો ખાઈ લીધો હતો. બન્ને જુદા જુદા સમાજના હોવાથી લગ્ન થવાની શક્યતા ન હોવાથી એમણે આવું જીવલેણ પગલું ભર્યું હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.
કલ્યાણ રેલવે સ્ટેશન નજીકના નીલમ ગેસ્ટ હાઉસમાં ૨૦ વર્ષનો અરુણકુમાર રોકાયો હતો. એને ૧૯ વર્ષની પ્રતિમા નામની યુવતી મળવા આવી હતી. રાત્રે ૯ વાગ્યે વેઇટરે રૂમનો દરવાજો ખટખટાવ્યો હતો, પરંતુ અંદરથી કોઈ જવાબ નહોતો મળ્યો.
ઘણા સમય સુધી રૂમમાંથી જવાબ ન મળતાં વેઇટરે હોટેલના મૅનેજરને આ વાત કરતાં એણે મહાત્મા ફુલે ચોક પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે આવીને ગેસ્ટ હાઉસની રૂમનો દરવાજો તોડીને ખોલતાં રૂમની અંદર પ્રતિમાનો મૃતદેહ નીચે પડેલો અને અરુણકુમારનો ગળાફાંસો ખાધેલો મૃતદેહ જોવા મળ્યો હતો.
પોલીસે બન્નેના આઈડેન્ટિટી કાર્ડ પરથી ઓળખ કરીને તેમના મોબાઈલ નંબરને આધારે પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. અરુણકુમાર ૧૮ જુલાઈએ ઉત્તર પ્રદેશના આજમગઢ ખાતેના પોતાના ઘરેથી બનારસ ફરવા જવાનું કહીને નીકળ્યો હતો, જ્યારે ઘાટકોપરના એક મૉલમાં કામ કરતી પ્રતિમા પોતાને કામ હોવાનું કહીને એ નીલમ ગેસ્ટ હાઉસ પહોંચી હતી.
આ પણ વાંચોઃ મામાએ ભાણી પર દુષ્કર્મ આચરતાં ગર્ભવતી બની
થાણેના એડિશનલ પોલીસ કમિશનર અનિલ પોવારના જણાવ્યા મુજબ પ્રતિમાના કપાળમાં લોહીનું ત્રિપુંડ કરેલું જોવા મળ્યું હતું, જે અરુણકુમારે પોતાનો અંગૂઠો કાપીને કર્યું હોવાની શક્યતા છે. પ્રતિમાની હત્યા કરીને અરુણકુમારે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. પ્રેમીઓએ આવું પગલું શા માટે ભર્યું એની તપાસ ચાલી રહી છે.
પોલીસે બાદમાં બન્નેના પરિવારજનોને એમના મૃતદેહ સોંપ્યા હોવાનું જાણવા મળ્યું હતું.