08 December, 2019 12:18 PM IST | Mumbai | Pallavi Smart
ફાઈલ ફોટો
ઇન્ડસ્ટ્રિયલ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ (આઇટીઆઇ)ના મહારાષ્ટ્રના ૧૨,૦૦૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપ્યા પછી પરિણામની જાહેરાત વખતે ૮૦૦૦ વિદ્યાર્થીઓનાં રિઝલ્ટ મળ્યાં નથી. એ જ રીતે મુંબઈના ૨૧૨ વિદ્યાર્થીઓમાંથી ૧૦ ટકાને પરીક્ષાનાં પરિણામ મળ્યાં નથી. આ સ્થિતિને કારણે ગયા જુલાઈ મહિનાથી પરિણામની રાહ જોતા વિદ્યાર્થીઓને આંચકો લાગ્યો છે. વિદ્યાર્થીઓ પરિણામના આધારે નોકરી માટે અરજી કરવાની રાહ જુએ છે.
આઇટીઆઇના અભ્યાસક્રમ કૌશલ્ય આધારિત હોવાથી મોટા ભાગે પછાત વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસક્રમને પસંદ કરે છે. આઇટીઆઇના વિદ્યાર્થીઓ બે વર્ષના કોર્સ પછી એક વર્ષ અપ્રેન્ટિસશિપ કરીને ફાઇનલ પરીક્ષા આપતા હોય છે. એ પરીક્ષા પાસ કરતાં તેમને નૅશનલ કાઉન્સિલ ફૉર વૉકેશનલ ટ્રેઇનિંગનું વૈશ્વિક માન્યતા ધરાવતું પ્રમાણપત્ર મળે છે.
વિદ્યાર્થીઓ કહે છે કે ‘જુલાઈ મહિનામાં અપેક્ષિત પરિણામ નવેમ્બર મહિનામાં જાહેર કરવામાં આવે અને એમાં પોણા ભાગના કે ૯૦ ટકા વિદ્યાર્થીઓને પરિણામ ન મળે ત્યારે આઘાત સાથે આશ્ચર્ય પણ થાય છે. વળી પરીક્ષા વિભાગના કર્મચારીઓ ટૂંકમાં ‘ડેટા મિસિંગ’ શબ્દોમાં જવાબ આપે છે.’
આ પણ વાંચો : નવી મુંબઈમાં ટૂ-વ્હીલર ચોરતી ગૅન્ગ પકડાઈ
આઇટીઆઇના વિદ્યાર્થીઓએ આ બાબતે યુવા સેનાના હોદ્દાદારોને ફરિયાદ કરી હતી. યુવા સેનાની અગ્રણી અને મુંબઈ યુનિવર્સિટીની સેનેટની સભ્ય શીતલ દેવરુખકરે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને પરિણામમાં વિલંબનું અથવા ‘ડેટા મિસપ્લેસિંગ’ની કહેવાતી ઘટનાનું કોઈ કારણ જણાવવામાં આવ્યું નથી. આ સમસ્યાની રજૂઆત માટે શીતલ દેવરુખકરના નેતૃત્વમાં આઇટીઆઇના વિદ્યાર્થીઓ મહારાષ્ટ્ર સરકારના સ્કિલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના કમિશનર દીપેન્દ્રસિંહ કુશવાહાને મળ્યા હતા. જોકે એ મુલાકાતની વિગતો માટે કુશવાહા આ સંવાદદાતાને ઉપલબ્ધ થયા નહોતા.