24 November, 2020 11:47 AM IST | Mumbai | Mumbai correspondent
થાણેની ગલીમાં હત્યારાઓએ કરેલું ફાયરિંગનું સીસીટીવી કૅમેરાનું ફુટેજ અને મૃતક મનસે નેતા જમીલ શેખ
થાણે (ઈસ્ટ)ના રાબોડીમાં ગઈ કાલે ધોળે દિવસે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રભાગ અધ્યક્ષની હત્યા કરાઈ હતી. બાઇક પર જઈ રહેલા નેતાનો શૂટરોએ બાઇક પર પીછો કર્યો હતો અને તેને બહુ જ નજીકથી પાછળથી ગોળીબાર કરીને ભાગી ગયા હતા. લોહીલુહાણ હાલતમાં નેતાને હૉસ્પિટલ લઈ જવાયો હતો, પણ ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. હત્યાની આ ઘટના સીસીટીવી કૅમેરામાં ઝડપાઈ ગઈ છે, જેના ફુટેજને આધારે થાણે ક્રાઇમ બ્રાંચે હત્યાનો ગુનો નોંધી તપાસ ચાલુ કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ મનસેના નેતા જમીલ શેખ પર આ પહેલાં પણ હુમલો કરાયો હતો, જેમાં તેના પર તીક્ષ્ણ હથિયારથી વાર કરાયો હતો અને તેના ચહેરા પર મરચાનો પાઉડર પણ નખાયો હતો. એ વખતે હુમલાખોરોએ તેને કહ્યું હતું કે તે એ વિસ્તારના લોકોને બહુ જ હેરાન કરતો હોવાથી તેના પર હુમલો કરાયો છે. જોકે એ હુમલામાં તે બચી ગયો હતો.
જોકે ગઈ કાલે તેના પર પ્રી-પ્લાન હુમલો કરાયો હતો. હત્યારાઓ તેની પાછળ જ બાઇક પર હતા. એટલું જ નહીં તેના પર બહુ જ નજીકથી ગોળી મારવા તેમણે સમય લીધો હતો. તેઓ એ શ્યોર કરવા માગતા હતા કે ગોળી એવી રીતે લાગે કે એનું મૃત્યુ થાય. જમીલ શેખે હેલ્મેટ પણ નહોતી પહેરી. બાઇક પર પાછળ બેસેલા શૂટરે તેને બહુ જ નજીકથી માથામાં પાછળથી ગોળી મારી હતી.
ઘટનાની જાણ થતાં જ રાબોડી પોલીસ દોડતી થઈ ગઈ હતી એટલું જ નહીં ખૂનનો મામલો હોવાથી ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ પણ ઘટનાસ્થળે જઈ નિરીક્ષણ કર્યું હતું અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.