Maratha Protest: : મનોજ જરાંગે પાટિલ ‘વર્ષા’ પર આંદોલન કરવાની તૈયારીમાં? કહ્યું કે પાણીની ટાંકી પર જ...

13 August, 2026 01:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Maratha Protest: હવે તો મનોજ જરાંગે પાટિલે પોતે મુંબઈ આવીને ધરણાં કરવાના છે. તેઓએ ડાયરેક્ટ મુખ્યમંત્રીના વર્ષા બંગલા પર જ આંદોલન કરવાનું નિશ્ચિત કર્યું છે.

મનોજ જરાંગે પાટિલની ફાઇલ તસવીર

મરાઠા અનામત આંદોલન (Maratha Protest) ફરી પાછું વેગે ચડ્યું છે. હવે તો મનોજ જરાંગે પાટિલે પોતે મુંબઈ આવીને ધરણાં કરવાના છે. તેઓએ ડાયરેક્ટ મુખ્યમંત્રીના વર્ષા બંગલા પર જ આંદોલન કરવાનું નિશ્ચિત કર્યું છે. તેમણે ફરી એકવાર મહારાષ્ટ્ર સરકારને ચીમકી આપી છે અને મરાઠા સમાજને આહ્વાન કર્યું છે કે ૨૯મી ઓગસ્ટે એક પણ મરાઠાએ ઘરમાં બેસી ન રહેતાં મોટી સંખ્યામાં મુંબઈ તરફ કૂચ કરવી.

વર્ષા બંગલા પર પાણીની ટાંકી પર જ બેસી જવું છે!- મનોજ જરાંગે પાટિલ

મનોજ જરાંગેએ પોતાના અનોખા અંદાજમાં કટાક્ષ કરતાં કહ્યું હતું કે, "મુંબઈ જઈને ઘણું બધું જોવું છે. શેરબજારનો બળદ જોવો છે, વિમાન કઈ રીતે ઊડે છે તે જોવું છે અને મુખ્યમંત્રીનું `વર્ષા` નિવાસસ્થાન પણ જોવું છે. મને તો લાગે છે કે વર્ષા બંગલે જઈને જ ઉપવાસ પર બેસી જવું સારું રહેશે. ત્યાં ફડણવીસે પાણીની ટાંકી રાખી છે, જો તેમાં પાણી ઓછું પડશે તો હું ભરી દઈશ અને ત્યાં જ આંદોલન (Maratha Protest) કરીશ."

આ સાથે જ મનોજ જરાંગેએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર પણ ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે ચંદ્રશેખર બાવનકુળેએ મરાઠા સમાજના મોંમાંથી કોળિયો આંચકી લીધો છે. પ્લસ તેઓએ ફડણવીસ પર પણ આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે તેઓ પોતાની ભૂલનો સ્વીકાર કરવાને બદલે ખોટું કરનારાઓનો પક્ષ લઈ રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જે મરાઠાઓએ તેમને સત્તામાં બેસાડ્યા, તેમને જ આ નેતાઓ ભૂલી ગયા છે અને સમાજ સાથે જાતિવાદ કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે સરકારે માત્ર મરાઠા જ નહીં પરંતુ ધંગર, બંજારા, આદિવાસી સમાજ અને ખેડૂતોનું પણ નુકસાન કર્યું છે. ક્યાં સુધી આપણે આંધળા થઇને બેસી રહીશું. હવે અન્યાય સામે અવાજ ઉઠાવવાનો સમય (Maratha Protest) પાકી ગયો છે.

મનોજ જરાંગે પાટિલના આકરા પ્રહાર અને ચીમકી બાદ ભાજપના નેતા પ્રવીણ દરેકરે પ્રતિક્રિયા આપતાં સરકારનો પક્ષ રજૂ કર્યો હતો. તેઓએ કહ્યું કે લોકશાહીમાં દરેકને આંદોલન કરવાનો અધિકાર છે. પણ આ જરાંગે તો રોજ નવી ધમકીઓ આપતા રહે છે. તેઓને કહેવાનું કે દેવેન્દ્ર ફડણવીસે જ મરાઠા સમાજ માટે સૌથી વધારે કલ્યાણકારી યોજનાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ કરવી આપી છે. તેમણે મનોજ જરાંગે પર કટાક્ષ કરતાં કયું હતું કે શરૂઆતમાં તેઓએ માત્ર શિક્ષણ અને નોકરી માટે કુણબી સર્ટિફિકેટની માંગ્યું હતું, રાજકારણ માટે નહીં. જો તેઓ સરકાર સાથે યોગ્ય સમન્વય અને સંવાદ સાધશે, તો આ મુદ્દાનો સકારાત્મક ઉકેલ આવી શકે એમ છે.

મનોજ જરાંગે પાટિલના આ નવા નિવેદન બાદ ફરી એકવાર મહારાષ્ટ્રમાં મરાઠા અનામત (Maratha Protest)નો મુદ્દો ચગ્યો છે. અને હવે સૌની નજર ૨૯મી ઓગસ્ટ પર અટકેલી છે કે શું ખરેખર મનોજ જરાંગે ખરેખર મુંબઈમાં આવીને `વર્ષા` પર આંદોલન કરશે કે નહીં.

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra manoj jarange patil maratha reservation