૧૧ સપ્ટેમ્બરે ફરી ચક્કા જામ કરશે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટરો

12 August, 2025 12:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઈ-ચલાનની સમસ્યાનો ઉકેલ લાવવાનું વચન સરકારે ન પાળ્યું એટલે લેવાયો નિર્ણય

ઈ-ચલાન રદ કરવા માટે ઑલ મહારાષ્ટ્ર વ્હીકલ ઓનર્સ અસોસિએશનની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ૫૦૦થી વધુ વ્હીકલ-ઓનર્સ જોડાયા હતા.

મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટર્સ ઈ-ચલાન રદ કરવા માટે લાંબા સમયથી સરકાર સામે રજૂઆત કરી રહ્યા છે, પરંતુ તેમને સંતોષકારક ઉકેલ ન મળવાને કારણે એક મહિના બાદ એટલે કે ૧૧ સપ્ટેમ્બરે રાજ્યભરમાં સ્કૂલબસ સહિત તમામ પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટર્સ રસ્તા પર ચક્કા જામ કરશે. વાશીમાં ઑલ મહારાષ્ટ્ર વ્હીકલ ઓનર્સ અસોસિએશનની ઉચ્ચ સ્તરીય બેઠકમાં સોમવારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ટ્રાન્સપોર્ટ અસોસિએશનના મત પ્રમાણે ઈ-ચલાન વ્યવસ્થા ભૂલ ભરેલી છે. ખોટી રીતે ઈ-ચલાન હોવાનું કહીને પ્રાઇવેટ બસ, ટ્રક, સ્કૂલબસ, ટૅક્સી સહિતના ટ્રાન્સપોર્ટર્સે અગાઉ પણ હડતાળ કરીને ટ્રાન્સપોર્ટ વિભાગ સમક્ષ પોતાની માગણી રજૂ કરી હતી. ત્યારે સમિતિ રચીને એક મહિનામાં રિપોર્ટ રજૂ થાય એ મુજબ ઈ-ચલાન ઉપરાંત અન્ય માગણીઓ પર સરકાર ઠોસ પગલાં લેશે એવી ખાતરી આપી હતી. આ વાતને એક મહિનાથી વધુ સમય થઈ ગયો, પરંતુ સરકાર તરફથી કોઈ સંતોષકારક જવાબ ન મળતાં ટ્રાન્સપોર્ટ અસોસિએશન હવે ચક્કા જામનો રસ્તો અપનાવશે એમ સ્કૂલબસ ઓનર્સ અસોસિએશનના ચૅરમૅન અનિલ ગર્ગે જણાવ્યું હતું.

mumbai transport travel travel news news mumbai maharashtra government maharashtra news maharashtra mumbai news