04 June, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અંજલી દમાનિયા, ધનંજય મુંડે
મહારાષ્ટ્ર (Maharashtra)ના ભૂતપૂર્વ મંત્રી ધનંજય મુંડે (Dhananjay Munde) વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યા બાદ, ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (Anti-Corruption Bureau - ACB)એ મંગળવારે સામાજિક કાર્યકર્તા અંજલી દમાનિયા (Anjali Damania)ને કેસને મદદ કરી શકે તેવી વધુ વિગતો માટે ACB ઓફિસમાં આવવા જણાવ્યું છે.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી ધનંજય મુંડે પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર સામાજિક કાર્યકર અંજલી દમાનિયાને ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. મુંડે સામે કરવામાં આવેલી ફરિયાદ અંગે પૂછપરછ માટે તેમને બોલાવવામાં આવ્યા છે. દમાનિયાએ ACB સમક્ષ તેમની ફરિયાદ સંબંધિત પુરાવા રજૂ કરવા પડશે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, અંજલી દમાનિયાને સોમવારે મહારાષ્ટ્ર એસીબી તરફથી એક પત્ર મળ્યો હતો. આ પત્રમાં તેમને બે દિવસમાં ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીના અધિકારીઓ સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું છે. પત્રમાં દમાનિયાને મુંડે વિરુદ્ધ ફરિયાદ સંબંધિત દસ્તાવેજો સાથે એસીબી સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું છે. એસીબીના અધિકારીઓ દમાનિયા દ્વારા મુંડે વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરશે. પત્રમાં કહેવામાં આવ્યું છે ક। જો દમાનિયા બે દિવસમાં હાજર નહીં થાય, તો એવું માનવામાં આવશે કે તે મુંડે વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદ વિશે કંઈ કહેવા માંગતી નથી.
સામાજિક કાર્યકર અંજલી દમાનિયાએ સોમવારે મોડી રાત્રે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર એક પોસ્ટમાં પત્ર શેર કર્યો અને કહ્યું કે તે બુધવારે ACB ઓફિસની મુલાકાત લેશે. તેમણે લખ્યું, ‘મને મહારાષ્ટ્રના ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો તરફથી એક પત્ર મળ્યો છે. આમાં, મને ધનંજય મુંડે સામે દાખલ કરવામાં આવેલી ફરિયાદ અંગે માહિતી આપવા માટે બે દિવસની અંદર હાજર થવાનું કહેવામાં આવ્યું છે. હું બુધવારે તેમની પાસેથી માહિતી આપવા માટે સમય લઈશ.’
નોંધનીય છે કે, સામાજિક કાર્યકર્તા અંજલી દમાનિયાએ મહારાષ્ટ્ર સરકારના ભૂતપૂર્વ મંત્રી ધનંજય મુંડે પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે પાછલી મહાયુતિ સરકાર (Mahayuti government)માં કૃષિ વિભાગમાં ૮૮ કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હતું અને તે સમયે ધનંજય મુંડે કૃષિ મંત્રી હતા. ત્યારબાદ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (Direct Benefit Transfer - DBT) હેઠળ રાજ્યના ખેડૂતોના બેંક ખાતામાં સીધા પૈસા મોકલવાને બદલે, સાધનો અને ખાતરો ઊંચા ભાવે ખરીદીને ખેડૂતોને આપવામાં આવ્યા હતા. જેમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. મુંડેએ દમણિયાના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને જો તેમની પાસે કોઈ નક્કર પુરાવા હોય તો કોર્ટમાં જવા પડકાર ફેંક્યો હતો.
જણાવી દઈએ કે, આ વર્ષના માર્ચમાં રાજ્ય મંત્રીમંડળમાંથી રાજીનામું આપતા પહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (Nationalist Congress Party – NCP)ના નેતા ધનંજય મુંડેએ વર્તમાન મહારાષ્ટ્ર સરકારમાં ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી તરીકે સેવા આપી હતી.