07 November, 2019 04:54 PM IST | Mumbai
ઉદ્ધવ ઠાકરે અને નરેન્દ્ર મોદી
ભાજપ અને શિવસેના વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને ચાલી રહેલી ખેંચતાણનો કોઈ અંત નથી દેખાઈ રહ્યો. માતોશ્રીમાં શિવસેનાની એક બેઠક થઈ જે બાદ ધારાસભ્યોને ફાઈવ સ્ટાર હોટેલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. આ ઘટનાક્રમ કર્ણાટકના નાટકની યાદ અપાવે છે. શિવસેનાના ધારાસભ્ય ગુલાબરાવ પાટિલે જણાવ્યું કે તેઓ બે દિવસ હોટેલમાં જ રહેશે અને એવું જ કરશે જેમ ઉદ્ધવ ઠાકરે કહેશે. પાટિલના આ નિવેદનથી સ્પષ્ટ થયું છે કે અહીં પણ જોડતોડની રાજનીતિ જોવા મળી શકે છે.
ભાજપના નેતાઓએ કરી રાજ્યપાલ સાથે મુલાકાત
સત્તાની ખેંચતાણ વચ્ચે ચંદ્રકાંત પાટિલના નેતૃત્વમાં ભાજપના નેતાઓના એક પ્રતિનિધિમંડળે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી. જેમાં ગિરીશ મહાજન, સુધીર મુનગંટીવાર અને આશીષ શેલાર પણ હતા. બેઠક બાદ ચંદ્રકાંત પાટિલે કહ્યું કે મહારાષ્ટ્રના લોકોએ ભાજપ શિવસેનાના ગઠબંધનને જનાદેશ આપ્યો છે. સરકાર બનાવવામાં સમય લાગી રહ્યો છે. આજે અમે રાજ્યમાં કાયદાકીય વિકલ્પો અને રાજનૈતિક સ્થિતિ પર ચર્ચા કરવા માટે રાજ્યપાલને મળ્યા. બાદમાં શું કરવું તેનો નિર્ણય લેવામાં આવશે.
શિવસેના કાઢશે રોન?
આ તમામ વચ્ચે શિવસેના તરફથી એવું પણ નિવેદન આવ્યું છે કે, તેમની પાસે પોતાના મુખ્યમંત્રી બનાવવા માટે પર્યાપ્ત સંખ્યા બળ છે. ધારાસભ્યોની બેઠક બાદ સંજય રાઉતે કહ્યું કે, અમારી પાસે અમારો મુખ્યમંત્રી બનાવવા માટે જરૂરી સંખ્યા બળ છે. અમારે તેને અહીં બતાવવાની જરૂર નથી. જરૂર પડશે તો અમે સદનમાં સાબિત કરીશું. અમારી પાસે વિકલ્પો છે, અમે વિકલ્પ વગર કાંઈ નથી બોલતા.
આ પણ જુઓઃ સંગીતમય રહી છે Priya Saraiyaના જીવનની સફર, મહેનતથી બનાવી છે પોતાની ખાસ ઓળખ...