09 July, 2022 06:33 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દેવેન્દ્ર ફડણવીસ અને એકનાશ શિંદેએ પીએમ મોદી સાથે કરી મુલાકાત
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીમાં છે. તેઓ શુક્રવારે રાત્રે દિલ્હી પહોંચ્યા હતા. બંને નેતાઓએ આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ પછી બંને નેતાઓ પીએમ નરેન્દ્ર મોદીને મળવા પણ પહોંચ્યા હતા. બંને નેતાઓએ પાર્ટીના ટોચના નેતૃત્વ સાથે મહારાષ્ટ્ર કેબિનેટના વિસ્તરણ અંગે ચર્ચા કરી હોવાનું માનવામાં આવે છે.
મહારાષ્ટ્રમાં ભારે રાજકીય ઉથલપાથલ અને શિવસેનામાં બળવો થયા બાદ શિંદે અને ફડણવીસે 30 જૂને રાજ્યમાં સત્તાની બાગડોર સંભાળી હતી. આ પહેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. મહારાષ્ટ્રના બંને નેતાઓ શુક્રવારે રાત્રે ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. તેમણે ભાજપ અને શિંદેના નેતૃત્વવાળી શિવસેનાના બળવાખોર જૂથ વચ્ચે સત્તાની વહેંચણીની ફોર્મ્યુલા પર ચર્ચા કરી. શાહે શુક્રવારે રાત્રે ટ્વિટ કરીને કહ્યું- `મને ખાતરી છે કે પીએમ નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તમે બંને ઈમાનદારીથી લોકોની સેવા કરશો અને મહારાષ્ટ્રને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જશો.`
સુપ્રીમ કોર્ટમાં 11 જુલાઈએ સુનાવણી
શિંદે અને ફડણવીસ 11 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટમાં નિર્ણાયક સુનાવણી પહેલા દિલ્હી પહોંચ્યા છે અને ટોચના નેતાઓ સાથે કેબિનેટ વિસ્તરણ અને મહારાષ્ટ્રના અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરશે. શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેના જૂથે એકનાથ શિંદે અને અન્ય 15 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
સીએમ શિંદેએ કહ્યું છે કે અમને ન્યાયતંત્રમાં વિશ્વાસ છે. તેમના નેતૃત્વ હેઠળના જૂથને શિવસેનાના બે તૃતીયાંશ ધારાસભ્યોનું સમર્થન છે. શિંદેના બળવાને કારણે વિભાજન પહેલા શિવસેના પાસે 55 ધારાસભ્યો હતા. શિવસેનાના લગભગ 40 ધારાસભ્યોએ શિંદેને ટેકો આપ્યો હતો, જેમને અપક્ષો અને નાના સંગઠનોના ધારાસભ્યોનું પણ સમર્થન છે. શિંદેએ 4 જુલાઈએ મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમતી મેળવી લીધી છે. 288 સભ્યોના ગૃહમાં તેમને 164 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે.