Maharashtra Political Crisis: આવતી કાલે જ બહુમતી સાબિત કરો, રાજ્યપાલનો CMને પત્ર

29 June, 2022 09:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિધાનસભાનું વિશેષ અધિવેશન બોલાવવામાં આવ્યું

ફાઇલ તસવીર

મંગળવારે રાત્રે ભાજપના નેતાઓ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળ્યા બાદ, રાજકીય ગતિવિધિઓ હવે જોરશોરથી ચાલી રહી છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને બહુમતી સાબિત કરવા માટે પત્ર મોકલ્યો છે. રાજ્યપાલે વિધાનસભા સચિવને પણ પત્ર મોકલ્યો હોવાની માહિતી સામે આવી છે. પત્ર મુજબ સરકારે 30 જૂને બહુમત પરીક્ષણનો સામનો કરવો પડશે.

એકનાથ શિંદેના વિદ્રોહ બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં અભૂતપૂર્વ સ્થિતિ સર્જાઈ છે. આ સત્તા સંગ્રામનો આજે નવમો દિવસ છે. મંગળવારે ભાજપના જૂથમાં મોટી ઘટનાઓ બની હતી. મંગળવારે દેવેન્દ્ર ફડણવીસએ દિલ્હીમાં પાર્ટી હાઈ-કામણની મુલાકાત લીધી હતી અને ત્યાર બાદ તેઓ રાત્રે મુંબઈમાં રાજ્યપાલને મળ્યા હતા. તેમણે દાવો કર્યો કે સરકારે બહુમતી ગુમાવી દીધી છે.

રાજ્યપાલની મુલાકાત બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે “બળવાખોર ધારાસભ્યોએ રાજ્યપાલને ઈ-મેલ દ્વારા પત્ર મોકલ્યો છે. શિવસેનાના 39 ધારાસભ્યોએ બળવો કર્યો છે અને તેમણે સ્ટેન્ડ લીધું છે કે તેઓ કોંગ્રેસ અને એનસીપી સાથે રહેવા માગતા નથી. તેથી, અમે રાજ્યપાલને મહાવિકાસ અઘાડી સરકારને બહુમતી સાબિત કરવા જણાવવાની માગ કરી છે. અમે આશા રાખીએ છીએ કે રાજ્યપાલ સુપ્રીમ કોર્ટના તમામ નિર્ણયોનો અભ્યાસ કરશે અને તેમને યોગ્ય નિર્દેશો આપશે.”

એકનાથ શિંદેનું જૂથ આવતી કાલે મુંબઈ પહોંચશે

શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે અને તેમની સાથે શિવસેનાના બળવાખોર ધારાસભ્યો ગુરુવારે મુંબઈ આવશે. આ માહિતી એકનાથ શિંદેએ ગુવાહાટીમાં આપી હતી.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર માટે આવતી કાલનો દિવસ નિર્ણાયક હશે.

mumbai mumbai news maharashtra uddhav thackeray shiv sena