05 June, 2025 10:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક દિવસ નિમિત્તે મહારાષ્ટ્રના કૌશલ્ય વિકાસ વિભાગ દ્વારા ૬ જૂનથી રાજ્યની તમામ ITI સંસ્થાઓમાં દેશભક્તિના વિષયો પર વ્યાખ્યાન-શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે. શિવરાજ્યાભિષેક દિવસ નિમિત્તે આ વ્યાખ્યાન-શ્રેણીનું આયોજન વિદ્યાર્થીઓમાં ભારતના ગૌરવશાળી ઇતિહાસ અને દેશ પ્રત્યે સમર્પણની ભાવના કેળવવા અને પર્યાવરણીય સંરક્ષણની ભાવના જાગૃત કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું હોવાનું કૌશલ્ય, રોજગાર, ઉદ્યોગસાહસિકતા અને નવીનતા મંત્રી મંગલ પ્રભાત લોઢાએ ગઈ કાલે મંત્રાલય ખાતે આયોજિત એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. આ વ્યાખ્યાન-શ્રેણીનું ઉદ્ઘાટન ૬ જૂને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા વિડિયો-સંદેશ દ્વારા કરવામાં આવશે. મંગલ પ્રભાત લોઢાએ માહિતી આપી હતી કે આગામી શૈક્ષણિક વર્ષથી ITIમાં ૬ અત્યાધુનિક વિષયોના નવા અભ્યાસક્રમો પણ શરૂ કરવામાં આવશે. શિવરાજ્યાભિષેક નિમિત્તે રાજ્યભરની ૧૦૯૭ ITIમાં વ્યાખ્યાન-શ્રેણીનું આયોજન કર્યું છે એમ મંગલ પ્રભાત લોઢાએ જણાવ્યું હતું.