21 March, 2026 10:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રૂપાલી ચાકણકર સાથે અશોક ખરાત
સ્વયંઘોષિત કૅપ્ટન અશોક ખરાત સામે અત્યાચારના ગંભીર આરોપો બાદ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ આ કેસની તપાસ વધુ તીવ્ર બનાવી છે. પોલીસ ડિજિટલ પુરાવા અને ફૉરેન્સિક તપાસના આધારે અશોક ખરાતના સમગ્ર નેટવર્કને તોડી પાડવા માટે તૈયારી કરી રહી છે.
SIT હાલમાં અશોક ખરાતના ફોન-કૉલ્સ, ચૅટ્સ અને સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સની સંપૂર્ણ તપાસ કરી રહી છે. તપાસનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસના હાથમાં આવેલા ચોંકાવનારા વિડિયોમાં દેખાતી પીડિતોને ન્યાય અપાવવાનો છે. આ વિડિયોમાં દેખાતી મહિલાઓની ઓળખ કરવાનું અને તેમનાં નિવેદનો રેકૉર્ડ કરવાનું કામ શરૂ થઈ ગયું છે.
તપાસ દરમ્યાન બહાર આવેલી માહિતી અનુસાર અશોક ખરાતની કહેવાતી કોર્ટમાં ઘણા વરિષ્ઠ વહીવટી અધિકારીઓ હાજર હતા. ચોંકાવનારી વાત એ છે કે અશોક ખરાત પર આ અધિકારીઓના સંબંધીઓનાં નામે ઘણી જગ્યાએ જમીન ખરીદવા અને વેચવાની શંકા છે. પોલીસ હવે આ શંકાસ્પદ નાણાકીય વ્યવહારો અને ખરાત નેટવર્કની કડીઓ શોધી રહી છે. અશોક ખરાતે નાશિક અને અહમદનગર જિલ્લામાં મોકાની જગ્યાઓએ મોટાં રોકાણ કર્યાં હોવાની ચર્ચા છે.
જ્યોતિષી અને અંકશાસ્ત્રી હોવાનું કહીને અનેક રાજકારણીઓ અને વિવિધ ક્ષેત્રોના લોકોને અનુયાયી બનાવનાર અશોક ખરાત તેની પાસે સમસ્યાઓ લઈને આવતી મહિલાઓને પોતાની જાળમાં લપેટતો હતો અને તેમનું શોષણ કરતો હતો એવા આરોપ થઈ રહ્યા છે. તે તેની પાસે સમસ્યા લઈને આવતી મહિલાઓને પેંડો ખાવા આપતો અને પછી ખારું અને મીઠું એવો વિચિત્ર સ્વાદ ધરાવતું પાણી પીવા આપતો. એ પછી તે મહિલાના માથા પર કળશ મૂકીને તેના કાનમાં કહેતો કે હું કૃષ્ણનો અવતાર છું અને તું મારી ગયા જન્મની રાધા છે. એમ કહીને તે મહિલાને સંમોહિત કરીને તેનું શારીરિક શોષણ કરતો હતો એવી માહિતી બહાર આવી છે.
આ કેસમાં ફરિયાદી મહિલાએ આરોપ લગાડ્યો છે કે નવેમ્બર ૨૦૨૨થી ડિસેમ્બર ૨૦૨૫ દરમ્યાન નાશિકના કૅનેડા કૉર્નર બિલ્ડિંગમાં અશોક ખરાતની ઑફિસમાં તેના પર બળાત્કાર થયો હતો. અશોક ખરાતે ફરિયાદી મહિલાનો ભાવનાત્મક અને ધાર્મિક વિશ્વાસ મેળવ્યો હતો. ત્યાર બાદ તેણે તેને મંત્ર-તંત્ર વિધિ માટે ઑફિસમાં બોલાવી અને તેને ઘેન ચડે એવું પાણી પીવડાવ્યું હતું. પીડિતા સંમોહન અવસ્થામાં ગયા પછી અશોક ખરાતે તેને તેના પતિના મૃત્યુનો ડર આપીને અને તેનું જીવન બરબાદ કરવાની ધમકી આપીને વારંવાર તેના પર બળાત્કાર કર્યો હતો.