20 February, 2021 09:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આરોગ્યપ્રધાન રાજેશ ટોપે
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ફરી કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી એને નિયંત્રણમાં લાવવા માટે મહાવિકાસ આઘાડી સરકાર મથામણ કરી રહી છે ત્યારે સરકારના આરોગ્યપ્રધાન રાજેશ ટોપે સહિત ટોચના નેતાઓ આ વાઇરસની ઝપટમાં આવ્યા છે. રાજેશ ટોપે ઉપરાંત જયંત પાટીલ, એકનાથ અને રક્ષા ખડસે, બચ્ચુ કડુ અને રાજેન્દ્ર શિંગણે કોવિડથી સંક્રમિત થવાથી તેઓ ક્વૉરન્ટીન થયાં હોવાનું જાણવા મળ્યું હતું.
મુંબઈમાં ફરી કોવિડના કેસમાં વધારો થયો હોવાથી એને નિયંત્રણમાં રાખવા માટે પાલિકાએ નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે. આવા સમયે રાજ્યની મહાવિકાસ આઘાડી સરકારના આરોગ્યપ્રધાન સહિતના પ્રધાનો સંક્રમિત થયા હોવાથી ચિંતા વધી છે.
આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ શુક્રવારે મોડી રાત્રે તેઓ સંક્રમિત થયા હોવાનું જણાવ્યા બાદ ગઈ કાલે બપોરે રાજ્યકક્ષાના પ્રધાન બચ્ચુ કડુએ પણ પોતે કોવિડ પૉઝિટિવ થયા હોવાની ટ્વીટ કરી હતી. તેમણે પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોવિડનાં લક્ષણો દેખાય તો ટેસ્ટ કરાવવાની ભલામણ કરી હતી.