16 February, 2025 01:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહારાષ્ટ્રમાં લવ જેહાદના વધી રહેલા મામલાને ધ્યાનમાં રાખીને છે સરકારે મહત્ત્વનો નિર્ણય
મહારાષ્ટ્રમાં લવ જેહાદના વધી રહેલા મામલાને ધ્યાનમાં રાખીને છે સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. લવ જેહાદ, હિન્દુ યુવતીઓને ફસાવવવી કે બળજબરીથી ધર્માંતરણ કરવા મજબૂર કરવામાં આવે છે એને રોકવા માટે કાયદો લાવવા માટે રાજ્યના પોલીસ વડાની અધ્યક્ષતામાં એક વિશેષ સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિ રાજ્યમાં અત્યારની સ્થિતિનો અભ્યાસ કરશે. લવ જેહાદમાં હિન્દુ યુવતીઓને ફસાવવા કે જબરદસ્તીથી ધર્માંતરણ કરવા માટે કેવી અને કેટલી રીતે પ્રયાસ કરવામાં આવશે એનો રિપોર્ટ સરકારને આપશે. આ રિપોર્ટને આધારે રાજ્ય સરકાર મહારાષ્ટ્રમાં લવ જેહાદના વિરોધનો કાયદો લાવશે.
ઉલ્લેખનીય છે કે દેશભરમાં અત્યાર સુધી ઉત્તર પ્રદેશ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ગુજરાત, ઝારખંડ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, ઓડિસા અને છત્તીસગઢ મળીને નવ રાજ્યમાં લવ જેહાદનો કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે. આવો કાયદો લાવવામાં આવશે તો મહારાષ્ટ્ર દસમું રાજ્ય થશે. અનેક હિન્દુ સંગઠનોએ મહારાષ્ટ્રમાં પણ લવ જેહાદને રોકવા માટેનો કાયદો લાવવાની માગણી કરી છે એટલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણીના પ્રચાર વખતે રાજ્યમાં લવ જેહાદનો કાયદો લાવવાનું આશ્વાસન આપ્યું હતું.