14 August, 2025 01:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદે
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતા હેઠળના અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ (UDD)એ થાણેનાં ગેરકાયદે બિલ્ડિંગોને ફટકારવામાં આવેલી પેનલ્ટીમાં છૂટછાટ આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયને પગલે થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ને ૭૯૯ કરોડ રૂપિયાનો ફટકો પડશે.
UDDએ TMCને પ્રૉપર્ટી-સર્વેનું કામ હાથ ધરવાનો આદેશ આપ્યો છે જેથી અત્યારે લાગુ પડતી કૅપિટલ-બેઝ્ડ ટૅક્સ-સિસ્ટમ મુજબ પ્રૉપર્ટી-ટૅક્સ ઉઘરાવી શકાય. એને પગલે પાલિકાને સૌથી વધુ કમાણી કરી આપતા પ્રૉપર્ટી-ટૅક્સ વિભાગની આવક વધશે એવું TMCના એક અધિકારીએ જણાવ્યું હતું.
પેનલ્ટીમાં માફી મળવાની આશાએ પ્રૉપર્ટીના માલિકો પેનલ્ટીની રકમ ભરવામાં વિલંબ કરે છે. એ રીતે જોવા જઈએ તો પેનલ્ટીની મૂળ રકમ ૧૪૫ કરોડ રૂપિયા છે. જો પેનલ્ટીની રકમમાં છૂટ આપવામાં આવે તો મૂળ પ્રૉપર્ટીના માલિકો વ્યાજ નહીં પણ પેનલ્ટીની મૂળ રકમ તો ભરશે એવી UDDની ગણતરી છે. પેનલ્ટી ભરવાથી ગેરકાયદે બાંધકામ કાયદેસરનાં નહીં થાય એવી સ્પષ્ટતા પણ UDD દ્વારા કરવામાં આવી હતી.