21 September, 2021 06:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ ફોટો
સાકીનાકા બળાત્કાર કેસમાં વિપક્ષની સાથે હવે રાજ્યપાલ પણ ઉદ્ધવ ઠાકરે સામે આવ્યા છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને સાકીનાકા મામલે પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે બે દિવસના ખાસ સત્રનું આયોજન કરવાનો નિર્દેશન આપ્યો છે.
રાજ્યપાલે મુખ્ય પ્રધાનને લખેલા પત્રમાં સાકીનાકા કેસ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે મહિલાઓ પરના અત્યાચાર, કાયદો અને વ્યવસ્થા પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેથી, રાજ્યપાલે મુખ્ય પ્રધાનને આ મુદ્દે ચર્ચા કરવા માટે વિધાનસભાનું બે દિવસીય વિશેષ સત્ર બોલાવવા નિર્દેશ આપ્યો છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પણ રાજ્યપાલના આ પત્રનો જવાબ પત્રથી આપ્યો છે.
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તેમના પત્રમાં લખ્યું છે કે સાકીનાકામાં બનેલી ઘટનાને પગલે તમે રાજ્યપાલ તરીકે મહિલાઓ પર થતા અત્યાચાર અંગે ચિંતા વ્યક્ત કરી છે, અમને પણ એ જ ચિંતા છે. આ મુદ્દો સાકીનાકા પૂરતો મર્યાદિત નથી પણ દેશભરમાં છે. તેથી દેશભરમાં પીડિત મહિલાઓ અમને ખૂબ આશાથી જોઈ રહી છે. તેથી, રાજ્યપાલે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી શાહ સમક્ષ રાષ્ટ્રમાં મહિલાઓ પર થતા અત્યાચારનો પર્દાફાશ કરવા સંસદના ચાર દિવસના વિશેષ સત્રની માંગણી કરવી જોઈએ. સાકીનાકા ઘટનાની ચર્ચા પણ આ જ સત્રમાં થઈ શકે છે.