14 October, 2019 01:01 PM IST | બુલઢાણા
ખેડૂતે કરી આત્મહત્યા
વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ગઈ કાલે બુલઢાણામાં હતા એ વખતે ૩૫ વર્ષના એક ખેડૂતે ‘ફરી લાવીએ આપણી સરકાર’ લખેલું ટીશર્ટ પહેરીને ગળાફાંસો ખાતાં મુખ્ય પ્રધાન શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા. સરકાર દ્વારા ખેડૂતોને અનેક આશ્વાસન અપાઈ રહ્યાં હોવા છતાં તેમને માટે કોઈ નક્કર પગલાં ન લેવાતાં મોટી સંખ્યામાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે.
જળગાંવની જામોદ વિધાનસભા બેઠકના ઉમેદવાર ડૉ. સંજય કુટેના પ્રચાર માટે ગઈ કાલે મુખ્ય પ્રધાનની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યકરોને રાજ્યમાં ફરી બીજેપીની સરકાર લાવવા માટેનાં લખાણવાળાં ટીશર્ટ વહેંચવામાં આવ્યાં હતાં.
શેગાવ તાલુકાના ખાતખેડ ખાતે ગઈ કાલે સવારે ૧૧ વાગ્યે ૩૫ વર્ષના એક ખેડૂતે ઝાડ પર ગળે ફાંસો ખાધો હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક યુવકે ‘પુન્હા આણુયા આપલે સરકાર’ લખાણવાળું બીજેપીનું ટી-શર્ટ પહેર્યું હતું. પોલીસ તપાસમાં માથા પર કરજ થઈ જવાથી ખેડૂત યુવકે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું.
આ પણ જુઓઃ જુઓ તારક મહેતા... ફૅમ રીટા રિપોર્ટરની બેબી બમ્પમાં હોટ તસવીરો
ઉલ્લેખનીય છે કે શનિવારે સાંજે પણ યેવલામાં એક યુવાન ખેડૂતે કરજને કારણે આત્મહત્યા કરી હતી એથી સરકાર ગમે એટલા દાવા કરે, પણ ચૂંટણીના સમયમાં પણ ખેડૂતોની આત્મહત્યાનો સિલસિલો રોકાતો નથી. એટલે સરકારની ખેડૂતો માટેની યોજના સામે સવાલ ઊભા થાય છે.