28 March, 2024 10:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય રાઉત
શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે–UBT)ના નેતા સંજય રાઉતે બુધવારે જણાવ્યું હતું કે ‘મહાવિકાસ આઘાડી (MVA)એ પ્રકાશ આંબેડકરની આગેવાની હેઠળની વંચિત બહુજન આઘાડીની છેલ્લી ઘડી સુધી રાહ જોઈ હતી અને જાહેરાત કર્યા બાદ હજી પણ રાહ જોવાઈ રહી છે. અમે વંચિત બહુજન આઘાડીને અકોલા સહિત પાંચ બેઠકો ઑફર કરી હતી. અમે હજી પણ એવું માનીએ છીએ કે તેમની સાથે વાતચીત થઈ શકે છે અને વાત પાંચ બેઠકથી આગળ વધી શકે છે.’
ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT)એ બુધવારે રાજ્યમાં લોકસભાની આગામી ચૂંટણી માટે ૧૭ ઉમેદવારોની એની પ્રથમ યાદી બહાર પાડીને જણાવ્યું હતું કે તેઓ રાજ્યની કુલ બાવીસ બેઠકો પર ચૂંટણી લડશે. ડૉ. બી. આર. આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે ૮ ઉમેદવારોનાં નામની જાહેરાત કરી હતી, જેમાં અકોલા મતવિસ્તારમાંથી તેમનો પોતાનો પણ સમાવેશ થાય છે. આંબેડકરે MVAના સાથી પક્ષો કૉન્ગ્રેસ, NCP (શરદચંદ્ર પવાર) અને શિવસેના (UBT) પર વંશવાદી રાજકારણને પ્રોત્સાહન આપવા માટે તેમના સંગઠનનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો.