03 April, 2019 06:54 PM IST | મુંબઈ
કિરીટ સોમૈયાના સ્થાને મનોજ કોટકને ટિકિટ
મુંબઈ ઈશાન એટલે કે નોર્થ-ઈસ્ટ બેઠકથી આખરે ભાજપના ઉમેદવારની જાહેરાત થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીએ મનોજ કોટકને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. 2014માં આ બેઠક પરથી કિરીટ સોમૈયા ચૂંટાઈ આવ્યા હતા. પરંતુ શિવસેનાના વિરોધના કારણે આ વખતે તેમને ટિકિટ નથી આપવામાં આવી. તેમના સ્થાને જાણીતા ગુજરાતી મનોજ કોટકને પસંદ કરવામાં આવી છે.
કોણ છે મનોજ કોટક?
મનોજ કોટક હાલ મુંબઈ મહાનગરપાલિકતામાં ભાજપના નગરસેવક છે. જેઓ ટી વૉર્ડમાંથી ભાજપનું પ્રતિનિધત્વ કરે છે. તેઓ મુલુંડ ઉપનગરના રહેવાસી છે.
કેમ કપાયું સોમૈયાનું પત્તું?
શિવસેનાના વિરોધના કારણે કિરીટ સોમૈયાનું પત્તું કપાયું છે. ભાજપ સાથે ગઠબંધન કરતી વખતે સોમૈયાને ટિકિટ ન આપવાની શરત શિવસેનાએ રાખી હતી. મહત્વનું છે કે કિરીટ સોમૈયાએ શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેની ટીકા કરી હતી. જે બાદ શિવસેના તેનો વિરોધ કરી રહી હતી.