29 May, 2021 01:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (પ્રતીકાત્મક તસવીર, સૌજન્યઃ એએફપી)
સાંતાક્રુઝમાં આવેલા છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ (ટર્મિનલ ૨) અને ડોમેસ્ટિક (ટર્મિનલ ૧) જવા માટેના રસ્તા પરની ટ્રાફિકની સમસ્યા ઓછી કરવા માટે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ)એ યોજના બનાવી છે, જેનું ભૂમિપૂજન ૩૧ મેએ રાખવામાં આવ્યું છે. એક અંદાજ મુજબ ઍરપોર્ટ જવા-આવવા માટેના માર્ગમાં પીક-અવર્સ દરમ્યાન ૧૦ હજાર વાહનોની અવરજવર થાય છે. આને લીધે ઍરપોર્ટ જવામાં ઘણો સમય બરબાદ થાય છે. એમએમઆરડીએએ લોકો કલાકે ૪૦ કિલોમીટરની ઝડપથી સરળતાથી આ માર્ગ પર અવરજવર કરી શકે એ માટે ટી-૨માં બે અન્ડરપાસ ૧૧૧.૯૪ કરોડ રૂપિયાના ખર્ચે બનાવાશે, જ્યારે ટી-૧ની નીચે એક અન્ડરપાસ અને જુહુ-વિલે પાર્લે ફ્લાયઓવરને ૭૬ કરોડ રૂપિયાના ખર્ચે પહોળા કરાશે. બન્ને પ્રોજેક્ટ પાંચ વર્ષની અંદર પૂરા કરવામાં આવશે. આ માટે એમએમઆરડીએએ તાજેતરમાં મેસર્સ આર. પી. એસ. ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ નામની કંપનીને કૉન્ટ્રૅક્ટ ટેન્ડરની પ્રક્રિયાથી આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ઍરપોર્ટ તરફ જતા રસ્તામાં ટ્રાફિકની મુશ્કેલી દૂર કરવા નિષ્ણાતોએ ગ્રેડથી વિભાજિત અન્ડરપાસ બનાવવાની ભલામણ કરી હતી. આથી એમએમઆરડીએ
દ્વારા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર બાંદરાથી ટી-૧ અન્ડરપાસ (-૧ લેવલ) ડ્રેન સાથે ૦.૩૮૪ કિલોમીટરનો હશે. આ અન્ડરપાસમાં ૧૦.૨૫ મીટર પહોળી બે લેન હશે. ફ્લાયઓવરના બન્ને જંક્શન પર એક લેનને ૩.૫ મીટર પહોળી કરવાની યોજના છે. દહિસર તરફથી બાંદરા તરફની દિશામાં ૦.૪૫૮ કિલોમીટર અને બાંદરાથી દહિસરની દિશામાં ૦.૨૩૯ કિલોમીટર હશે.