મલબાર હિલના રસ્તાઓ પર ગુજરાતી ભાષાનાં બોર્ડ આઉટ મરાઠીભાષી બોર્ડ ઇન

04 June, 2026 09:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

MNSની ચીમકી બાદ BMCએ કર્યો ફેરફાર

દાયકાઓથી ગુજરાતીમાં લખાયેલાં બોર્ડને BMC દ્વારા હટાવીને મરાઠીમાં લખેલાં બોર્ડ મૂકવામાં આવ્યાં હતાં.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) દ્વારા BMCને ફરિયાદ કરતો પત્ર લખીને આંદોલનની ચીમકી અપાયા બાદ મુંબઈના સૌથી પૉશ વિસ્તારોમાંના એક અને બહોળી ગુજરાતી વસ્તી ધરાવતા મલબાર હિલમાં ગુજરાતી ભાષામાં લખેલાં બધાં જ બોર્ડ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. BMCએ મલબાર હિલના ચોક, રસ્તાઓ અને અન્ય જાહેર સ્થળોએ ગુજરાતીમાં લખેલાં બોર્ડ તેમ જ તકતીઓ હટાવી હતી અને એના સ્થાને મરાઠી ભાષામાં લખેલાં બોર્ડ લગાવ્યાં હતાં, જેમાં ડુંગરશી રોડ પર એલિઝાબેથ હૉસ્પિટલ પાસે આવેલા આચાર્ય શ્રીમદ્ વિજય ઓમકાર સૂરીશ્વરજી મહારાજ ચોકનો પણ સમાવેશ થાય છે.

આ સિવાય ‘શ્રી વીર વિક્રમ પ્રાસાદ શ્રી મહાવીરસ્વામીજી જૈન મંદિર જૈનાચાર્ય શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી ગુરુમંદિર આરાધના ભવન’ ચોકનું ગુજરાતીમાં લખેલું બોર્ડ હટાવી દેવાયું હતું અને નવું મરાઠી ભાષામાં લખેલું બોર્ડ લગાવાયું હતું. BMCના વૉર્ડ ‘A’ અને વૉર્ડ ‘D’ દ્વારા આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. 

MNS સ્ટાઇલ આંદોલનની અપાઈ હતી ચીમકી

મલબાર હિલમાં ચોકનાં નામો, રસ્તાનાં નામો અને અન્ય જાહેર સ્થળો પર ગુજરાતીમાં લખાયેલાં બોર્ડ હટાવાય નહીં તો MNS સ્ટાઇલ આંદોલન કરવામાં આવશે એવી ચીમકી આપતો પત્ર BMCને મોકલવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. મલબાર હિલમાં ફક્ત ગુજરાતી ભાષાને પ્રાધાન્ય આપવામાં આવે છે અને મરાઠી ભાષા માટે એ અપમાન સમાન છે એમ MNSએ BMCને લખેલા પત્રમાં જણાવ્યું હતું. મલબાર હિલ વિસ્તારમાં મુખ્ય પ્રધાનનો વર્ષા બંગલો, લોકભવન અને અન્ય સરકારી ઇમારત આવી હોવાથી અહીં આંદોલન કરી કાયદો-વ્યવસ્થા ન બગાડવી; એના સ્થાને આઝાદ મેદાનમાં આંદોલન કરવું એવી નોટિસ પણ MNSને પોલીસ દ્વારા મોકલાવાઈ હતી. 

mumbai news mumbai maharashtra navnirman sena political news malabar hill gujaratis of mumbai gujarati community news