18 May, 2025 10:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઘોડબંદર રોડ પર આવેલા ગાયમુખ ઘાટ પર આજે સવારથી મંગળવાર એટલે કે ૨૦ મેની સાંજના પાંચ વાગ્યા સુધી રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવશે. આથી આ સમય દરમ્યાન ભારે વાહનોની અવરજવર બંધ રહેશે. મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસના ટ્રૅફિક વિભાગે જાહેર કરેલી સૂચના મુજબ આજથી ૨૦ મેની સાંજ સુધી ઘોડબંદર રોડ પર ટ્રૅફિક-જૅમ ન થાય એ માટે વાહનચાલકોને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે.
મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર સિરસાટ ફાટાથી ફાઉન્ટન હોટેલ પાસેના વર્સોવા બ્રિજ સુધી ભારે વાહનોની પ્રવેશબંધી રહેશે. આથી વાહનચાલકો સિરસાટ ફાટાથી પારોળ, અકલોલી (ગણેશપુરી) અને અંબાડી માર્ગથી જઈ શકશે.
આવી જ રીતે મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર ચિંચોટી નાકાથી ફાઉન્ટન હોટેલ પાસેના વર્સોવા બ્રિજ સુધી ભારે વાહનોની પ્રવેશબંધી રહેશે. આથી પર્યાય તરીકે વાહનચાકો ચિંચોટી, કામણ, ખારબાંબ, અંજુરફાટા અને ભિવંડી માર્ગે જઈ શકશે.
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર મુંબઈ અને કાશીમીરાથી ઘોડબંદર રોડથી થાણે તરફનો રસ્તો બંધ રહેશે. વાહનચાલકો વર્સોવા બ્રિજથી મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર સિરસાટ ફાટા, પારોળ, અકલોલી (ગણેશપુરી), અંબાણી અથવા તો ચિંચોટી, કામણ, ખારબાંબ, અંજુરફાટા, ભિવંડીથી આગળનો પ્રવાસ કરી શકશે.