28 July, 2021 09:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
શહેરમાં ગઈ કાલે ૨૮,૦૫૮ લોકોની કોરોનાની ટેસ્ટ કરાઈ હતી, જેમાંથી ૧.૨૨ ટકા પૉઝિટિવિટી સાથે ૩૪૩ કેસ નોંધાયા હતા. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી દરરોજ કોરોના મહામારીમાં સપડાઈને મૃત્યુ પામનારા દરદીની સંખ્યામાં થોડો ઘટાડો થઈ રહ્યો છે. ગઈ કાલે પાંચ દરદી આ મહામારીનો ભોગ બન્યા હતા, જેમાં બે દરદી ૪૦થી ૬૦ વર્ષની વયના અને ૩ દરદી સિનિયર સિટિઝન હતા. આ સાથે શહેરમાં કુલ મૃત્યાંક ૧૫,૭૮૯ થયો છે. ગઈ કાલના રિકવર થયેલા ૪૬૬ દરદી મળીને અત્યાર સુધી મુંબઈમાં નોંધાયેલા કોવિડના કુલ ૭,૩૪,૭૬૧ કેસમાંથી ૭,૧૧,૩૧૫ દરદી રિકવર થયા છે. ઍક્ટિવ કેસનો આંકડો ઘટીને ૫૨૬૭ થયો હતો. શહેરમાં રિકવરીની ટકાવારી ૯૭ યથાવત્ રહી છે. કેસ ડબલિંગનો દર ૧૩૭૭ દિવસ થયો છે. ઍક્ટિવ સ્લમ અને બેઠી ચાલની સંખ્યા પાંચ થઈ છે. એની સામે પાંચથી વધુ કેસ નોંધાતાં સીલ કરાયેલી ઇમારતોની સંખ્યા ૬૫ થઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૨૦૨ લોકોનું હાઈ-રિસ્ક કૉન્ટૅક્ટ ટ્રેસિંગ કરાયું હતું, જેમાંથી ૮૨૩ હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ મળી આવ્યા હતા.