27 April, 2021 08:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્કૂટર પર માસ્ક વગરના લોકો વિરૂદ્ધ પગલાં લેતી પોલીસ
મુંબઈ હાઈ કોર્ટની ઔરંગાબાદ બેન્ચે ગઈ કાલે મહામારીને અનુલક્ષીને કેટલાક આદેશ જાહેર કરતાં કહ્યું હતું કે કોવિડના વધતા જતા કેસ સામે શહેરના લોકોએ કોવિડનાં ધોરણોનું પાલન કરવું જોઈએ અને ત્યાર બાદ સરકારને દોષી ઠરાવવી જોઈએ.
જસ્ટિસ રવીન્દ્ર ઘુગે અને બી. યુ. દેબાદ્વારની ડિવિઝન બેન્ચે કહ્યું હતું કે સરકાર પર દોષારોપણ કરતાં પહેલાં શહેરના નાગરિક તરીકે શિસ્તનું પાલન કરવાની આપણી પણ ફરજ છે. અકારણ બહાર ફરતા, સ્કૂટર પર હેલમેટ કે માસ્ક વિના ટ્રીપલ સીટ અને ઘણી વાર ચાર જણા સવારી કરનારા, માસ્ક દાઢીની નીચે પહેરનારા વગેરેને પણ સુપર સ્પ્રેડર ગણી તેમની સામે પગલાં લેવા જોઈએ. કોઈ પણ રાજકીય પક્ષ કે વગદાર લોકોએ લૉકડાઉનના પ્રોટોકોલનું પાલન ન કરનારાઓને સજાથી બચાવવા માટે પોતાની વગનો ઉપયોગ ન કરવો જોઈએ.
ગયા અઠવાડિયે ઑક્સિજનનો અભાવ, રેમડેસિવીર ઇન્જેક્શન, લૉકડાઉન પ્રતિબંધોનું પાલન ન કરતા જેવા મુદ્દાઓની કોર્ટે સામે ચાલીને નોંધ લીધી હતી.