03 December, 2022 11:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અંધેરી સ્ટેશન પાસે આગ લાગતાં પાંચ દુકાન બળી ગઈ હતી
અંધેરી-વેસ્ટમાં રેલવે સ્ટેશનની બહાર આવેલી દુકાનોમાં ગઈ કાલે વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. થોડી જ વારમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગમાં પાંચ જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનાની જાણકારી થતાં જ ફાયર બ્રિગેડની પાંચ ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ આગમાં અંધેરી રેલવે સ્ટેશનના કેટલાક ભાગને પણ નુકસાન થયું હતું.
અંધેરી-વેસ્ટમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી દુકાનોમાં ગઈ કાલે સવારે સાડાપાંચ વાગ્યે અચાનક આગ ફાટી નીકળી હતી. સદનસીબે સવારે આગ લાગી ત્યારે દુકાનો બંધ હતી. એક દુકાનમાં આગ પ્રસરી હતી અને એને લીધે અન્ય દુકાનોને પણ ઝપટમાં લીધી હતી. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગતાં જ રેલવે પરિસર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાંની સાથે જ પાંચ ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આગમાં પાંચ દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. આગ શૉર્ટ સર્કિટને કારણે લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ડી. એન. નગર પોલીસે આ ઘટનાની નોંધ લઈને વધુ તપાસ શરૂ કરી છે.