ગણેશોત્સવની ઉજવણી માટે મહારાષ્ટ્ર સરકારે જાહેર કરી આ વિશેષ ગાઈડલાઈન્સ
ફાઈલ તસવીર
કોરોના વાયરસ (COVID-19)ની અસર જીવનના દરેક તબક્કે થઈ રહી છે. ધર્મ અને આસ્થા પણ તેનાથી બાકાત નથી. ગણેશોત્સવની ઉજવણી પણ નહીં! રાજ્યમાં આ વર્ષે ગણેશોત્સવની ઉજવણી સાદાઈથી કરવી તેવી જાહેરાત મહારાષ્ટ્ર સરકારે બહુ પહેલા જ કરી દીધી હતી અને હવે ઉત્સવની ઉજવણી માટે વિશેષ ગાઈડલાઈન્સ બહાર પાડી છે. આ ગાઈડલાઈન્સનું પાલન કરીને જ ઉજવણી કરવી તેવી સરકારે અપીલ કરી છે.
મહારાષ્ટ્ર સરકારે જાહેર કરેલી ગાઈડલાઈનમાં ભાર પૂર્વક કહેવામાં આવ્યું છે કે, ગણેશજીની પ્રતિમા સાર્વજનિક સ્થળોએ 4 ફીટ અને ઘરમાં 2 ફીટની રખાશે. ગણેશ વિસર્જન પર રોક લગાવવામાં આવી છે. તેને આવતા વર્ષે વિસર્જિત કરાશે. આ સાથે પૂજા પંડાલમાં ભવ્ય સજાવટ પર પણ પ્રતિંબધ રખાયો છે. ગૃહ પ્રધાન અનિલ દેશમુખે લોકોને અપીલ કરી છે કે, ગણેશોત્સવ દરમિયાન ગાઈડલાઈનનું સંપૂર્ણ રીતે પાલન કરવામાં આવે.
ગણેશોત્સવની ઉજવણીની ગાઈડલાઈનના આ છે નિયમો:
- પૂજા પહેલાં ગણેશ મંડળોએ નગર નિગમ અને સ્થાનિક તંત્રની પરવાનગી લેવાની રહેશે.
- દરેક પંડાલમાં પેવેલિયન બનાવાશે. પૂજા સાધારણ રીતે અને ઓછી સજાવટ સાથે કરાશે.
- સાર્વજનિક સ્થળોએ 4 ફીટ અને ઘરોમાં 2 ફીટની મૂર્તિની સ્થાપના કરી શકાશે.
- મેટલ, માર્બલની મૂર્તિઓ પર ભાર મૂકાયો છે. પર્યાવરણ ફ્રેન્ડલી મૂર્તિને ઘરમાં સ્થાપિત કરાશે.
- આ વર્ષે ગણેશ વિસર્જન પર રોક રહેશે. આવતા વર્ષે તેમનું વિસર્જન કરી શકાશે.
- પૂજા સમયે સાંસ્કૃતિક કાર્યક્રમોને બદલે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા શિબિરનું આયોજન કરાશે. જેવી કે, બ્લડ ડોનેશન, કોરોના, મેલેરિયા, ડેન્ગ્યૂથી બચવાના ઉપાય માટે જાગરૂકતા.
- આરતી, ભજન અને ધાર્મિક કાર્યક્રમમાં ભીડ એકઠી ન થાય અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે જરૂરી રહેશે.
- ધ્વનિ પ્રદૂષણ પર પણ ધ્યાન અપાશે.
- ગણેશ દર્શન માટે ઓનલાઈન વ્યવસ્થા કરવી જેને કેબલ નેટવર્ક કે ફેસબુક જેવા માધ્યમથી લોકોને લાભાન્વિત કરી શકાશે.
- ગણપતિ મંડપનું સેનેટાઈઝેશન થતું રહે અને સાથે જ અહીં થર્મલ સ્ક્રીનિંગની પણ વ્યવસ્થા હોવી જરૂરી છે. શ્રદ્ધાળુઓએ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. મંડપમાં સેનેટાઈઝરની પણ વ્યવસ્થા જરૂરી રહેશે.
- ભગવાનના આગમન અને વિસર્જનમાં જૂલૂસ કાઢી શકાશે નહીં. વિસર્જન સમયે જે આરતી થાય છે તે પણ ઘરમાં જ કરાશે. વિસર્જન સ્થળ ટૂંક સમયમાં જ બંધ કરી દેવાશે. બાળકો અને વૃદ્ધો વિસર્જન સ્થળે જઈ શકશે નહીં.
- નગર નિગમ, અલગ અલગ બોર્ડ, હાઉસિંગ સોસાયટી, એનજીઓની મદદથી કૃત્રિમ તળાવ તૈયાર કરાશે જેમાં વિસર્જન કરી શકાશે.