29 September, 2020 07:44 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
NCB ઓફિસમાં દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાન (ફાઈલ તસવીર)
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મહત્યાના કેસ તરફથી ડ્રગ્સ કેસની તપાસ તરફ વળેલી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)ના 20 કર્મચારીઓ કોરોના વાયરસ (COVID-19)ની ચપેટમાં આવ્યા છે. સોમવારે સાંજે રિપોર્ટ આવ્યા બાદ અમદાવાદ, ઇન્દોર, બેંગ્લોર અને ચેન્નઈથી NCBના અધિકારીઓને મુંબઈ બોલાવવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ઘણા મોટા અધિકારીઓ પણ કોરોના પૉઝિટિવ આવ્યા છે. મુંબઈ બહારથી આવેલા અધિકારીને એક ગેસ્ટ હાઉસમાં ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે.
NCBના સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે, NCBના 20 કર્મચારીઓ કોરોના વાયરસ સંક્રમિત થયા છે. સોમવારે સાંજે આ રિપોર્ટ આવ્યા હતા. છેલ્લા એક અઠવાડિયા દરમ્યાન ટીમે જેટલા લોકોની પૂછપરછ કરી અથવા મુલાકાત લીધી તે બધાને કોરોના ટેસ્ટ કરાવવા માટે કહેવામાં આવ્યું છે. તેમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone), સારા અલી ખાન (Sara Ali Khan), શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) અને રકુલપ્રીત સિંહ (Rakul Preet Singh) પણ સામેલ છે. બધા આજકાલમાં કોરોના ટેસ્ટ કરાવી શકે છે. સૂત્રો એવું પણ જણાવે છે કે, સંક્રમિત થયેલા મોટાભાગના લોકોમાં લક્ષણ જોવા મળ્યા નથી.
તમને જણાવી દઈએ કે, આ પહેલાં એક્સચેન્જ બિલ્ડિંગ સ્થિત NCB ઓફિસના ચાર કર્મચારી કોરોના પૉઝિટિવ આવ્યા બાદ આખી ઓફિસને થોડા દિવસો માટે બંધ કરી દેવામાં આવી હતી. બૉલીવુડમાં ડ્રગ્સ એન્ગલને લઈને બે ટીમ તપાસ કરી રહી છે. NCB ઓફિસમાં સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ સાથે જોડાયેલા ડ્રગ્સ એન્ગલની તપાસ થઈ રહી છે અને ગેટ વે ઓફ ઇન્ડિયા સ્થિત ગેસ્ટ હાઉસમાં બૉલીવુડના ડ્રગ્સ એન્ગલની તપાસ થઈ રહી છે.