24 January, 2020 10:15 AM IST | Mumbai
અનિલ દેશમુખ
મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે અગાઉની દેવેન્દ્ર ફડણવીસ સરકાર પર વિરોધ પક્ષોના નેતાઓના ફોન ટેપ કરાવવાનો આરોપ મૂક્યો હતો. અનિલ દેશમુખે ગઈ કાલે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે બીજેપીની સરકારે સરકારી તંત્રનો દુરુપયોગ કરીને વિપક્ષી નેતાઓના ફોન ટેપ કરાવવવાની ફરિયાદોની તપાસ કરવામાં આવશે.
અનિલ દેશમુખે જણાવ્યું હતું કે ‘ગૃહ મંત્રાલયે મહારાષ્ટ્ર પોલીસના સાઇબર સેલને એ વખતમાં વિરોધ પક્ષની પાટલી પર બેસતા નેતાઓના ફોન ટેપ કરવા અને જાસૂસી કરવાની ફરિયાદોની તપાસ કરવાની સૂચના આપી છે. ખાસ કરીને મહારાષ્ટ્ર વિકાસ આઘાડીની સરકારની રચનાના દિવસોમાં ફોન ટેપિંગ અને જાસૂસીની ઘટનાઓ બની હતી.
આ પણ વાંચો : બંગલાદેશી અને પાકિસ્તાની મુસ્લિમોને ભગાડો : રાજ ઠાકરે
આગલી સરકારે ફોન ટેપિંગ અને જાસૂસી માટે સત્તા અને સરકારી તંત્રનો દુરુપયોગ કર્યો હોવા બાબતે કોઈ શંકા નથી. આગલી સરકારે જાસૂસીમાં ઉપયોગી સ્નૂપિંગ સૉફ્ટવૅરના અભ્યાસ માટે કેટલાક અધિકારીઓને ઇઝરાયલ મોકલ્યા હોવાના પણ અહેવાલો મળ્યા છે.’