બંગલાદેશી અને પાકિસ્તાની મુસ્લિમોને ભગાડો : રાજ ઠાકરે
રાજ ઠાકરે
રાજ ઠાકરેના પક્ષ એમએનએસએ સીએએ અને એનઆરસીને ટેકો આપતાં શિવસેનાથી છૂટા પડ્યા બાદ બીજેપીને એમએનએસના સ્વરૂપમાં સાથી પક્ષ સાંપડ્યો છે. એમએનએસ બીજેપીની સાથે ઊભા રહેવા ઉપરાંત સીએએ અને એનઆરસીનો વિરોધ કરનારાઓને તેમની જ ભાષામાં જવાબ આપવા ૯ ફેબ્રુઆરીએ મોર્ચાનું આયોજન કરી રહ્યો છે.
સીએએ અને એનઆરસીના મુદ્દે લગભગ એક મહિના જેટલો સમય ચુપકીદી સાધ્યા બાદ હવે મનસેએ હુંકાર ભરતાં બંગલાદેશી અને પાકિસ્તાની મુસ્લિમોને દેશમાંથી બહાર કાઢવા ઉપરાંત સરકારને પાડોશી દેશ સાથેના સંબંધોનો અંત આણી સૌપ્રથમ સમજૌતા એક્સપ્રેસ બંધ કરવા કહ્યું હતું.
પક્ષના ઝંડાના કલરમાં બદલાવ વિશે સમજાવતાં તેમણે કહ્યું હતું કે હું હંમેશાંથી હિન્દુ અને મરાઠી છું અને દેશમાં રહેતા દેશના વફાદાર મુસ્લિમોને હંમેશ મારો ટેકો રહ્યો છે પરંતુ અન્ય દેશમાંથી ઘૂસણખોરી કરીને ભારતમાં આવેલાઓને દેશમાંથી દૂર કરવા જ જોઈએ.
સીએએ અને એનઆરસી સામે ઘણો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ વિરોધને મજબૂત દર્શાવવા આવેલા લોકો કોણ છે અને ક્યાંથી આવ્યા છે તે હું સારી રીતે જાણું છું. મુસ્લિમો હકીકતમાં આર્ટિકલ ૩૭૦ અને રામમંદિર પરના ચુકાદાથી નાખુશ છે અને એથી જ તેઓ વિરોધ કરી રહ્યા છે, જે ખોટો છે અને તેમના વિરોધને અટકાવવો જ જોઈએ.
મનસેના શિવમુદ્રા ધ્વજથી મરાઠા કોપાયમાન
ADVERTISEMENT
છત્રપતિ શિવાજી મહારાજની સત્તાવાર મહોર (સીલ) – રાજમુદ્રા જે શિવમુદ્રા તરીકે પણ ઓળખાય છે એનો પોતાના નવા ધ્વજ પર ઉપયોગ કરવાને પરિણામે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ) કાયદાકીય મુશ્કેલીમાં મુકાય એવી પ્રબળ શક્યતા છે. મરાઠા સમુદાય તથા સંગઠનોએ શિવમુદ્રાનો રાજકીય સાધન તરીકે ઉપયોગ કરવા બદલ ગુરુવારે રાજ ઠાકરેની આગેવાની હેઠળના પક્ષની ઝાટકણી કાઢી હતી.
નવા લૉન્ચ કરાયેલા ધ્વજ સામે વાંધો ઉઠાવતાં શિવાજી મહારાજના સમર્થકોએ દાવો કર્યો હતો કે અંગત હેતુ માટે આ મહોરનો ઉપયોગ કરવો ગેરકાનૂની છે અને એનાથી શિવાજી મહારાજનો અનાદર થાય છે.
શિવમુદ્રા રાષ્ટ્રીય મિલકત છે. કોઈ રાજકીય પક્ષ એનો ઉપયોગ શી રીતે કરી શકે? અમે અદાલતમાં જઈશું એમ મરાઠા ક્રાન્તિ મોરચાના વિનોદ પાટીલે જણાવ્યું હતું. પાટીલ ચૂંટણીપંચને આ ધ્વજ રદ કરવાનું પણ જણાવવાના છે.
સંભાજી બ્રિગેડના પુણેના વડા સંતોષ શિંદેએ જણાવ્યું હતું કે સંગઠને સ્વારગેટ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને જો રાજમુદ્રાને ધ્વજમાંથી દૂર કરવામાં ન આવી તો તેઓ આ મુદ્દે માર્ગો પર ઊતરી આવશે.
શિવમુદ્રા શું કહે છે?
શહાજીના પુત્ર શિવાજીની આ મુદ્રાની કીર્તિ સોળે કળાએ ખીલશે.
સમગ્ર વિશ્વ એની સ્તુતિ કરશે અને એ માત્ર લોકકલ્યાણ માટે જ ઝળહળશે.
એનઆરસીની લાઇનમાં કરી એસઆરસીની માગણી
ગોરેગામના નેસ્કો કમ્પાઉન્ડમાં યોજાયેલી એમએનએસની જાહેર સભામાં વિવાદાસ્પદ એનઆરસીની હરોળમાં એસઆરસી (સ્ટેટ રજિસ્ટર ઑફ સિટિઝન્સ)ની માગણી કરતાં એમએનએસએ ફરી એકવાર ‘મરાઠી માણૂસ ફર્સ્ટ’ના મુદ્દાને ઉઠાવ્યો હતો. સૂચિત જાહેર સભામાં એમએનએસના નેતાઓએ મહારાષ્ટ્રની વિશિષ્ટ ઓળખની માગણી કરી હતી.
આ પણ વાંચો : રાજ ઠાકરેનો પુત્ર અમિત હવે રાજકારણમાં સક્રિય
રોજગાર અને શિક્ષણમાં મરાઠી માણૂસને પ્રાધાન્યતા મળવી જોઈએ એમ જણાવી એમએનએસના નેતાએ કહ્યું હતું કે એસઆરસીની યાદી બનવી જોઈએ અને મહારાષ્ટ્રની બહારના લોકોનાં નામ અલગ કરવા જોઈએ.