17 June, 2021 05:29 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતીય રેલવેએ એક મોટા પ્રૉજેક્ટ પર કામ કરતા દિલ્હીથી મુંબઇ વચ્ચે રાજધાની એક્સપ્રેસની સ્પીડને 160 કિમી પ્રતિ કલાક કરવાનો નિર્ણય લીઝો છે. આ માટે રેલવે વિરારથી સૂરત વચ્ચે એક મોટી યોજના પર કામ કરે છે.
વર્ષ 2024થી દિલ્હીથી મુંબઇનો પ્રવાસ માત્ર એક રાતમાં પૂરો થઈ શકે છે. રેલવે તરફથી આ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેથી દિલ્હીથી મુંબઇ સુધીનું અંતર 12 કલાકમાં કાપી શકાય. દિલ્હીથી મુંબઇ વચ્ચે ચાલતી રાજધાની એક્સપ્રેસથી હવે 12 કલાકમાં જ આ અંતર કાપી શકાશે અને આ માટે ટ્રેનની ઝડપને 160 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચાડવામાં આવશે.
પશ્ચિમ રેલવેએ આ માટે વિરારથી સૂરત વચ્ચે ટ્રેકની બન્ને તરફ દીવાલ બનાવવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પછી રેલવે ટ્રેક પર રાજધાની એક્સપ્રેસને 160 કિમી પર કલાકની ઝડપે દોડાવવામાં આવશે. હાલ આ ટ્રેનની ઝડપ 130 કિલોમીટર પર કલાકની છે. હાલ દિલ્હીથી મુંબઇ માટે રાજધાની એક્સપ્રેસના પ્રવાસમાં કુલ 16 કલાક લાગે છે. આ વખતે પ્રવાસને 12 કલાક કરવાની તૈયારી થઈ રહી છે.
માર્ચ 2024 સુધી કામ પૂરું કરવાનો લક્ષ્ય
રેલવેએ આ પ્રૉજેક્ટને માર્ચ 2024 સુધી પૂરું કરવાની ડેડલાઇન રાખી છે. વિરારથી સૂરત સુધીના રેલવે ટ્રેકને કવર કર્યા પછી આના પર લોકો અને પ્રાણીઓના આગમનને અટકાવી શકાશે, જેથી ટ્રેનની સ્પીડ વધારવામાં મદદ મળશે. આ પ્રૉજેક્ટ પર લગભગ 120 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનું અનુમાન છે અને આ કામ મૉનસૂન સીઝન પછી શરૂ કરાવવામાં આવશે.
ટેન્ડરિંગનું કામ શરૂ
રેલવેએ 160 કિલોમીટરના ટ્રેક પર દીવાલ બનાવવા માટે ટેન્ડરિંગની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. રેલવેએ ટ્રેનની સ્પીડ વધારવા માટે જે મોટા પ્રૉજેક્ટ પર કામ કરી રહી છે, તેનો એક મોટો ભાગ વેસ્ટર્ન રેલવેના ક્ષેત્રમાં છે. લગભગ 6661 કરોડના આ પ્રૉજેક્ટમાં તમામ રૂટ્સને હાઇ સ્પીડ રેલ કૉરિડોર તરીકે વિકસિત કરવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે.